શારદીય નવરાત્રીનો પ્રારંભ 3 ઓક્ટોબરથી, ક્યારે આવશે કયું નોરતું?


- 3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ભાદરવા મહિનાની અમાસ બાદ બીજા દિવસે કળશ સ્થાપના સાથે શારદીય નવરાત્રી શરૂ થાય છે
HD ન્યુઝ ડેસ્કઃ 3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. પિતૃપક્ષની સમાપ્તિ પછી તરત જ શારદીય નવરાત્રી શરૂ થાય છે. સર્વ પિતૃ અમાસ એટલે કે ભાદરવા મહિનાની અમાસ બાદ બીજા દિવસે કળશ સ્થાપના સાથે શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો શુક્લ પ્રતિપદા તિથિ એટલે શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ. તે દિવસે સવારે સ્નાન કર્યા બાદ કળશની સ્થાપના કરવામાં આવે છે. માતા દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે. પછી ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન વિધિ પ્રમાણે દેવી દુર્ગાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
અષ્ટમી અને નવમીને લઈને મૂંઝવણ
આ વખતે ચતુર્થી તિથિની વૃદ્ધિ અને નવમી તિથિના ઘટાડાને કારણે સમગ્ર પક્ષ 15 દિવસ સુધી ચાલશે. નવરાત્રી નવ દિવસ ચાલશે. ભક્તો નવ દિવસ સુધી પૂજા અર્ચના કરશે, પરંતુ 10મી ઓક્ટોબરે ખાલી દિવસ છે. જ્યારે 11મી ઓક્ટોબરે મહાઅષ્ટમી અને નવમીની પૂજા થશે. શાસ્ત્રો અનુસાર, જ્યારે સપ્તમી અને અષ્ટમી એક સાથે આવે ત્યારે મહાઅષ્ટમીના ઉપવાસને વર્જિત માનવામાં આવે છે. 10મીએ સપ્તમી અને અષ્ટમી બંને છે. તેથી ભક્તો અષ્ટમીની પૂજા કરવાને બદલે મહાગૌરીની જ પૂજા કરશે.
નવરાત્રીનું કેલેન્ડર
- પહેલું નોરતુંઃ 3 ઓક્ટોબર, માતા શૈલપુત્રીની પૂજા
- બીજું નોરતુંઃ 4 ઓક્ટોબર, માતા બ્રહ્મચારિણીની પૂજા
- ત્રીજું નોરતુંઃ 5 ઓક્ટોબર, માતા ચંદ્રઘંટાની પૂજા
- ચોથું નોરતુંઃ 7 ઓક્ટોબર, માતા કુષ્માંડાની પૂજા
- પાંચમું નોરતુંઃ 8 ઓક્ટોબર, માતા સ્કંદમાતાની પૂજા.
- છઠ્ઠુ નોરતુંઃ 9 ઓક્ટોબર, માતા કાત્યાયનીની પૂજા.
- સાતમું નોરતુંઃ 10 ઓક્ટોબર, મા કાલરાત્રીની પૂજા
- આઠમું નોરતુંઃ 11 ઓક્ટોબર, મા મહાગૌરી પૂજા
- નવમું નોરતુંઃ 11 ઓક્ટોબર, મા સિદ્ધિદાત્રીની પૂજા.
- નવમી હવન, વિજયાદશમીઃ 12 ઓક્ટોબર 2024, શનિવાર
આ પણ વાંચોઃ પિતૃ દોષ હોય તો મળે છે આ સંકેતો, જાણો મુક્તિ મેળવવાના ઉપાય