પાટણના પ્રસિદ્ધ વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ગુરૂ ભક્તિના ભજનની રમઝટ જામી


પાલનપુર: ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી દેવતાઓના મંદિરો ભક્તજનોના આસ્થાના પ્રતીક સમાન શોભાયમાન બની રહ્યા છે. ત્યારે શહેરના મીરા દરવાજા નજીક આવેલ પ્રસિદ્ધ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ગુરૂવારના પવિત્ર દિવસે દિવ્ય સંતવાણી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ ભક્તિ સભર સંતવાણીનો પ્રારંભ મહંત રાજેન્દ્રાનંદ
ગીરીજી અને વસંતગીરીજી નાં સાનિધ્યમા ગુરૂ કલ્યાણાનંદ ગીરીજી ની કૃપાથી દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે આયોજિત આ દિવ્ય સંતવાણીમા પાટણના જાણીતા ભજન કલાકાર આત્મારામભાઈ નાયી, દિનેશભાઈ દરજી, રસીકભાઈ સાધુ એ ગુરૂ ભક્તિના ભજનોની મોડી રાત સુધી તબલા ના તરવૈયા અરવિંદભાઈ બારોટ અને મંજીરાના માણીગર દિલીપ સાધુના સથવારે રમઝટ જમાવી હતી.
ગુરૂ ભક્તિના ભજન પ્રસંગે પાટણ જગદીશ મંદિર ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ, કાલિકા માતાજી મંદિરના પુજારી અશોકભાઈ વ્યાસ, અશ્વિનભાઈ જોશી, અમૃતલાલ મહેતા, અશોકભાઈ ત્રિવેદી, અંબાલાલ પટેલ સહિતના ભજન રસીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અશોક રાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : જાણો વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે?
મંદિરનાં મહંતો દ્વારા ઉપસ્થિત ભજન રસીક ભક્તોનું સન્માન કરી આશિર્વાદ પાઠવ્યા
આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત સૌ ભજન રસીક ભક્તોનું વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંતો દ્વારા સ્વાગત સન્માન કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.