એક દશકા બાદ ફરી એકવાર થશે એશિયાટિક લાયન્સની ગણતરી, ત્રણ દિવસ ચાલશે કામગીરી

- ગીરના જંગલોમાં સિંહની સંખ્યામાં 30% વધારાનો અંદાજ
- સંચાલન વાઈલ્ડ લાઈફ ડિવિઝન સાસણ સંભાળશે
- 2015થી 2020 વચ્ચે સિંહોનાં વિસ્તારમાં 36 ટકાનો વધારો નોંધાયો હતો
- જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં વિહરતા સિંહોની સંખ્યા, મારણ સહિતની વિગતો એકત્ર કરાશે
સાસણ, 23 માર્ચ : જંગલના રાજા એશિયાટીક લાયન્સની ગણતરી માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુકયો છે. છેલ્લા 9 વર્ષથી સત્તાવાર સિંહોની વસ્તી ગણતરીનો અંદાજ કરવામાં આવ્યો નથી. આમ તો દર પાંચ વર્ષે સિંહોની ગણતરીનો અંદાજ કરવામાં આવે છે. છેલ્લે 2015માં સિંહ વસ્તી ગણતરી થયા બાદ 2020માં કોરોના કાળના કારણે માત્ર અંદાજ કરવામાં આવ્યો હતો. સત્તાવાર ગણતરી થવા પામી ન હતી.
આ વર્ષે 10મેથી 13 મે 2025 દરમ્યાન સિંહ-સિંહણ, પાઠડા સહિતની ગણતરી થવાની શકયતાઓ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ વખતે વનતંત્ર દ્વારા 25થી 30 ટકા સિંહોની વસ્તી વધારો દર્શાવવામાં આવે તેવો અંદાજ છે. એશિયાટીક સિંહ માત્ર ગીર અને હવે સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લાઓમાં વસવાટ કરે છે વન વિભાગ દ્વારા છેલ્લા વર્ષથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
સિંહની વસ્તી ગણતરી અંદાજનું સંચાલન વાઈલ્ડ લાઈફ ડિવિઝન સાસણ દ્વારા કરવામાં આવશે. હાલ સિંહોના વસવાટ વાળા તમામ વિસ્તારો ઉપરાંત જયાં જયાં સિંહોની અવર જવર છે તે તમામ વિસ્તારોમાંથી સિંહના અવલોકનના ડેટા, મારણની વિગતો, રેડીયો કોલરનો ડેટા સહિતની અનેક વિગતો એકત્ર થઈ ગયા બાદ કેવી રીતે અને કેટલા વિસ્તારમાં સિંહોની ગણતરીનો અંદાજ લગાવવો તે નકકી કરવામાં આવશે.
સિંહ વસ્તી ગણતરીને માત્ર હવે દોઢ માસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મે માસની પુનમ તા.12ના છે જેથી તેની એક બે દિવસ પછી કરવામાં આવશે. દર વખતે ગણતરી બે તબકકામાં કરવામાં આવે છે. ગણતરીનો આખરીઓપ અપાઈ ચુકયો છે. આ વખતે સિંહોની વસ્તી 25થી 30 ટકા બતાવાવામાં આવે તેવો અંદાજ છે. ગિર ઉપરાંત જ્યાં જ્યાં સિંહો પહોંચ્યા છે તેવા તમામ વિસ્તારોને ગણતરી અંદાજમાં સમાવેશ કરવામાં આવશે.
ગરમીના કારણે પૂનમના અજવાળે વસ્તી ગણતરી સહેલી બને છે. ઉનાળો હોવાથી મોટાભાગે સિંહો પાણી વાળા વિસ્તારોમાં જ હોય છે જેથી મોટાભાગના સિંહો ગણતરીમાં આવી જાય છે. 2015થી 2020 વચ્ચે સિંહોના વિસ્તારમાં 36 ટકા સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર પોરબંદર રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જીલ્લાના 53 તાલુકામાં અવરજવર કરતા જોવા મળ્યા છે. સિંહોની ગણતરી મુજબ 1968માં 177, 1974માં 180, 1979માં 205, 1985માં 239, 1990માં 284, 1995માં 304, 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523, 2020માં પૂનમ અવલોકનમાં 674નો અંદાજ છે.
આ પણ વાંચો :- અમેરિકાના સ્ટોરમાં મહેસાણાના પાટીદાર પિતા-પુત્રીની હત્યા