આ દિવસે સમગ્ર રાજ્યમાં બે મિનિટનું મૌન પાળી શહીદ વિરોને શ્રદ્ધાંજલિ અપાશે


શહીદ વિરોને શ્રદ્ધાંજલિ, 30મી જાન્યુઆરી 2023ના રોજ સમગ્ર દેશમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરી, 2023ને સોમવારના રોજ શહીદ દિને સવારે 11-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકાર દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો: અમદાવાદ: તંત્રના પાપે ગરીબોની હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બાંધવાની યોજના પર પૂર્ણવિરામ
સવારે 10-59 થી 11-૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડવામાં આવશે
સોમવાર તા. 30મી જાન્યુઆરી, 2023ના રોજ જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10-59 થી 11-૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવા સુચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર 11-૦2થી 11-૦3 કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.
આ પણ વાંચો: ગુજરાત: સરકારી પરીક્ષા પૂર્વે પેપરફોડ, સેટિંગબાજોને નજરકેદ કરાશે!
સવારે 11-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા આદેશ
જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.