ટ્રેન્ડિંગનેશનલ

OTTના નામે ગંદકી નહી ચલાવી લેવામાં આવે, અનુરાગ ઠાકુરની ચેતવણી

નાગપુરના એક કાર્યક્રમમા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર OTT બાબતે ખુબ જ આકરા પાણીએ જોવા મળ્યા. OTT પ્લેટફોર્મ પર ક્રિએટિવિટીના નામે અપમાનજનક અને અભદ્ર ભાષાનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે તે બાબતે તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, ક્રિએટિવિટીના નામે ગમે તેવી વલ્ગારિટી સહન કરવામાં નહી આવે. ઓટીટી પ્લેટફોર્મ પર વધી રહેલી અશ્લીલ સામગ્રીની ફરિયાદોને લઈ અને સરકાર પણ ખુબ જ ગંભીર છે. જો આ સિલસિલો અટકશે નહીં તો આ અંગે જરૂર જણાય નિયમમાં ફેરફાર થશે. જરૂર જણાય તો આ અંગેનો એક કાયદો પણ લાવવામાં આવશે. OTT પ્લેટફોર્મ પર માત્ર ક્રિએટિવિટીને આવકાર અને સ્વતંત્રતા અપાય છે.પરંતુ અપશબ્દો અને અશ્લીલતાને નહીં.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોઈ વ્યક્તિ ક્રિએટિવિટીના નામે આ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અસભ્યતાને કોઈ પણ કાળે સ્વીકારી લેવામાં આવશે નહીં. ખાસ કરીને ક્રિએટીવીટીના નામે ! જેને લઈને ગમે તેવા આકરા પગલાં લેવાની જરૂર જણાશે તો પણ સરકાર પીછેહટ કરશે નહીં. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પ્રોડ્યુસર પોતાના લેવલથી જ આ ફરિયાદોને દૂર કરવી પડશે. જેમાં 90 થી 92 ટકા ફરિયાદો તેમના ફેરફારો દ્વારા દૂર કરી શકાશે. ત્યારબાદ આ ફરિયાદોનું એસોસિએશન તેના સ્તરેથી નિરાકરણ કરવામાં આવે છે. જેમાં મોટાભાગની ફરિયાદો દૂર થઈ શકે છે ત્યારબાદ સરકારના લેવલેથી જે ફરિયાદ કરવાની વાત આવે ત્યારે વિભાગીય કમિટી પર જે તે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ‘જો રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું છે તો મોદી સરકારે અત્યાર સુધી કેમ કોઈ પગલાં લીધાં નથી’

અગાઉ કરતાં ફરિયાદો વધી હોવાથી વિભાગ પણ આ બાબતે ખૂબ ગંભીરતાથી કાર્યવાહી કરી રહ્યું છે. આ મામલે થોડા ઘણા ફેરફારની જરૂર જણાશે તો તેમ કરવામાં આવશે. વધુમાં તેમણે મીડિયાને પણ અપીલ કરી હતી કે, દેશ-વિરોધના સમાચારોને સ્થાન ન આપવું જોઈએ. દેશની એકતા સાથે ચેડાં કરનાર સામે મીડિયાએ પણ સાવધાન રહેવું જોઈએ. મંત્રીનું આ નિવેદન રાહુલ ગાંધીના કેમ્બ્રિજ નિવેદન અંગે તેમનો કટાક્ષ હતો. જો કે હવે ઓટીટી કંટેન્ટ પર સરકાર શું કાર્યવાહી કરે છે તે તો સમય જ કહેશે.હાલ તો સરકારે ખોંખારા પુંછડુ પછાડ્યું છે.

Back to top button