ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અન્ના હજારેએ કહ્યું, કેજરીવાલની ધરપકડથી મને…

નવી દિલ્હી, 22 માર્ચઃ અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે દરેક પ્રકારના પ્રતિભાવ અને પ્રત્યાઘાત આવી રહ્યા છે. ઈન્ડી જોડાણના નેતાઓ મજબૂત રીતે કેજરીવાલના સમર્થનમાં આવ્યા છે તો એનડીએ જૂથના પક્ષો કેજરીવાલના અત્યાર સુધીનાં પગલાં અને કથિત કૌભાંડોનાં ઉદાહરણ આપીને ધરપકડને યોગ્ય ઠેરવી રહ્યા છે. પણ આ સૌમાં એક વ્યક્તિ છે જેમના પ્રત્યાઘાતની આખો દેશ ગઈકાલ સાંજથી રોહ જોઈ રહ્યો હતો. એ છે અન્ના હજારે.

અન્ના હજારેને કેજરીવાલના રાજકીય ગુરુ માનવામાં આવે છે અને આ કેસમાં તેમનું વલણ શું છે એ આજે બપોરે સ્પષ્ટ થયું છે. દેશ જાણે છે કે, અન્ના હજારેએ તત્કાલીન સરકારોના કૌભાંડના વિરોધમાં 2012માં દિલ્હીમાં મોટાપાયે આંદોલન શરૂ કર્યું હતું. એ આંદોલનને ખાસ કોઈ સફળતા મળી નહોતી પરંતુ તેમાં જોડાયેલા અરવિંદ કેજરીવાલે આંદોલન પૂરું થયા પછી તરત જ રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને તેમાં અન્ના આંદોલન સાથે સંકળાયેલા અનેક મોટાં માથાં પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જોકે, જે અન્ના હજારે કેજરીવાલને માન આપતા હતા એ જ અન્ના હજારે છેલ્લા થોડાં વર્ષથી કેજરીવાલના ટીકાકાર બની ગયા હતા. કેજરીવાલ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપોની શરૂઆત થઈ ત્યારથી અન્ના હજારે કેજરીવાલથી દૂર થઈ ગયા હતા.

મને કોઈ દુઃખ નથી થતુંઃ
આજે, અન્ના હજારેએ જણાવ્યું કે, કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તેમણે બનાવેલી નવી શરાબ નીતિ અંગે મેં તેમને બે વખત પત્ર લખ્યો હતો. મને અફસોસ થાય છે કે કેજરીવાલે મારી વાત માની નહીં અને હવે તેમની ધરપકડ થઈ ગઈ છે. તેમની ધરપકડથી હવે મને કોઈ દુઃખ નથી થતું.

અન્ના હજારેએ જણાવ્યું કે, કેજરીવાલ અને સિસોદિયા નવા-નવા હતા અને મારી પાસે આવ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે, હંમેશાં દેશના ભલા માટે કામ કરજો. પરંતુ એ બંનેએ મારી વાત માની નહીં. હજારેએ વેદના સાથે જણાવ્યું કે, હવે પોતે કેજરીવાલને કોઈ સલાહ નહીં આપે. કાયદો કાયદાનું કામ કરશે.

દરમિયાન, કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જૂઓ વીડિયો

કેજરીવાલની સરકારે 2021માં જૂની એક્સાઈઝ નીતિમાં છેડછાડ કરીને નવી એક્સાઈઝ નીતિ બનાવી હતી. આ નીતિથી દિલ્હીની સરકારને કેટલી મોટી ખોટ પડશે તેનો અહેવાલ તત્કાલીન મુખ્ય સચિવે દિલ્હીના લેફટન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને આપ્યો હતો. એ નીતિમાં સ્પષ્ટ રીતે મોટી ગરબડ હોવાથી સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો. આ જ કેસમાં હવાલા કાંડ થયું હોવાનું જણાતા ઈડીએ પણ કેસ નોંધ્યો હતો. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં પકડાયેલા 16 આરોપીઓ પૈકી ત્રણ સરકારી સાક્ષી બની જતાં તેમણે આપેલાં નિવેદનોને પગલે કાયદાનો હાથ કેજરીવાલ સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ કેવી રીતે આવ્યા EDની પકડમાં? કોણ બન્યા સરકારી સાક્ષી?

Back to top button