આણંદ: આગામી 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ


- કાર્ડિયોલોજી સેવાઓ બંધ થતાં સેંકડો દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે
- છેલ્લા ૧૦ વર્ષમાં પર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન માટેનો દર માત્ર ૧.૨ ટકા વધ્યો
- કાર્ડિયોલોજી સેવા માટે વાજબી અને યોગ્ય દર નિર્ધારીત કરવામાં આવે
આણંદ જિલ્લામાં આગામી ૧થી ૭ એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
કાર્ડિયોલોજી સેવાઓ બંધ થતાં સેંકડો દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે
આ ફોરમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી માગણી કરાઇ રહી હતી કે કાર્ડિયોલોજી સેવા માટે વાજબી અને યોગ્ય દર નિર્ધારીત કરવામાં આવે. જેનાથી હોસ્પિટલોને ઉચ્ચે ગુણવત્તાની સારવાર પૂરી પાડી શકાય. પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઇ ઝડપી કાર્યવાહી નહીં કરાતા ૧ એપ્રિલથી આયુષ્યમાન કાર્ડિયોલોજી સેવાઓ બંધ થતાં સેંકડો દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
છેલ્લા ૧૦ વર્ષમાં પર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન માટેનો દર માત્ર ૧.૨ ટકા વધ્યો
ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા ઉમેરવામાં આવ્યું છે કે હાલના દરો એટલા ઓછા છે કે હોસ્પિટલો અને કાર્ડિયોલોજીસ્ટ ગુણવત્તા સારવાર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક-અવ્યવહારુ છે. છેલ્લા ૧૦ વર્ષમાં પર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન માટેનો દર માત્ર ૧.૨ ટકા વધ્યો છે જ્યારે ગુજરાતનો મોંઘવારી દર ૬.૫ ટકા છે. આ સાથે તેમના દ્વારા એવો પણ અનુરોધ કરાયો છે કે સ્ટેકહોલ્ડરો સાથે તાકીદે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.