ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટી

રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણયઃ તહેવારો દરમિયાન ગરીબ પરિવારો માટે રાહતના સમાચાર

  • તહેવારો દરમિયાન અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ
  • ઘઉં,ચોખા અને અન્ન’-બાજરી અને જુવારનું વિનામૂલ્યે થશે વિતરણ

HD ન્યૂઝ ડેસ્ક, 11 ઓગસ્ટ, રાજ્ય સરકારે તહેવારો દરમિયાન મહત્ત્વનો નિર્ણય લીધો છે. અંત્યોદય અને BPL પરિવારોને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનું જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ – સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ. ૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા.ખાંડ એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧૫ ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મંત્રીએ કહ્યું હતું કે, અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા- ૨૦૧૩” (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૦ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઓગસ્ટ-૨૦૨૪ માસમાં ઘઉં, ચોખા અને “અન્ન” -બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭,૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે. અન્ન,નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહજી પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં, ૧૫ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

જાણો કેટલું અનાજનું વિતરણ કરવામાં આવશે
રાજ્યના ૬૬ લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો”ની ૩.૨૩ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં, ૨ કિલો ચોખા અને ૧ કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ ૧ કિ.ગ્રા ચણા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ, રાજ્ય સરકાર N.F.S.A ૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર આ યોજનાઓ દ્વારા ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ તરફ આગેકૂચ નિશ્ચિત કરી રહી છે.

આ પણ વાંચો..બનાસકાંઠા : જિલ્લામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવી પહેલનો પ્રારંભ, એરી સેરી કલ્ચરથી ભવિષ્યમાં પાલનપુર શહેર રેશમનું કેન્દ્ર બનશે

Back to top button