ગુજરાતટોપ ન્યૂઝ

અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર

Text To Speech

રાજ્ય સરકારે આજે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક 2023 વિધાનસભામાં રજૂ કર્યું હતું જેને બહુમતીથી પસાર કરાયુ હતુ. કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ બીજી બાજુ આમ આદમી પાર્ટીએ આ બિલને સમર્થન આપ્યું હતું. આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે વધુ માહિતી ગૃહને આપી હતી.

ઋષિકેશ - Humdekhengenews

શું કહ્યું ઋષિકેશ પટેલે ?

મહાનગરપાલિકા, સત્તામંડળો અને નગરપાલિકાઓ તેમજ પ્રજાજનો દ્વારા સમયમર્યાદા વધારવાની લેખિત-મૌખિક રજૂઆતોના આધારે વિધેયકમાં સુધારો કરાયો હોવાનું ગૃહમાં જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે, ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેના ભવિષ્યમાં સંજોગો ઉભા થાય તો નાગરિકોના હિતમાં તેમને યોગ્ય તક અને પુરતો સમય મળી રહે તે માટે મુળ વિધેયકની કલમ 5 (2) માં 4 મહિનાની જે સમયમર્યાદા હતી તેમાં 5 (2-અ) ઉમેરી શરતોને આધીન મુદ્દતમાં વધારો કરવા રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિધ્ધ કરી શકે તેવી જોગવાઇ આ સુધારા વિધેયકમાં ઉમેરવામાં આવી છે.

શા માટે આ વિધેયક લાવવાની ફરજ પડી ?

કોઇના ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી નાના માણસના હિતમાં વિધેયકમાં સુધારો લઇને આવ્યા છીએ તેમ સુધારા વિધેયક અંગે વિધાનસભામાં જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, 17/10/2022 અમલમાં આવેલ આ વિધેયકથી રાજ્યની તમામ 8 મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તમામ સત્તામંડળો હેઠળના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50 % રહેવાસીઓને આ સુધારા વિધેયકનો લાભ મળશે. 14 ફેબ્રુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી કુલ 57 હજારથી વધુ અરજીઓ બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે મળી હોવાનું તેમણે જણાવ્યું હતુ.

કેવા બાંધકામો રેગ્યુલાઈઝડ નહીં થઈ શકે ?

મંત્રી ઋષિકેશ પટેલે સુધારા વિધેયક અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, RERA કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટીસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં. 01/10/2022 પહેલાની મિલકત જે બિનઅધિકૃત હોય અને વપરાશમાં આવી ગઇ હોય તેવી જ મિલકતોને આ સુધારા વિધેયક અંતર્ગત કાયદેસર કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટેની ફી પણ સામાન્ય વ્યક્તિને પોષાય તેવી નજીવી રાખવામાં આવી છે તેમ તેઓએ ઉમેર્યુ હતું.

Back to top button