લાલ ડુંગળી પકવતા સૌરાષ્ટ્ર સાથે હવે પાટણ અને વડોદરાના ખેડૂતોને પણ મળશે આ લાભ

- આ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે
- પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે કરી હતી રજુઆત
- વડોદરા જિલ્લા માટે દંડક બાલકૃષ્ણ શુકલ દ્વારા કરવામાં આવી હતી રજૂઆત
ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજનો લાભ ઉત્તર ગુજરાતમાં પાટણ અને મધ્ય ગુજરાતમાં વડોદરાને મળે તેવી લાગણી ખેડૂતો દ્વારા સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી આજે રાજ્ય સરકારે આ બે જિલ્લાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેતા સૌરાષ્ટ્ર સાથે હવે પાટણ અને વડોદરાના ખેડૂતોને પણ તેનો લાભ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
બળવંતસિંહ અને બાલકૃષ્ણ શુકલએ કરી હતી રજૂઆત
ઉલ્લેખનીય છે કે, આ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક બાલકૃષ્ણ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.
લાલ ડુંગળીની નિકાસ માટે 20 કરોડની સહાય
મહત્ત્વનું છે કે, સરકારે તાજેતરમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને 1 કટ્ટા દિઠ 100 રૂપિયા એટલે કે, 1 કિલોએ રૂ. 2 અને લાભાર્થી દિઠ વધારેમાં વધારે 50 કટ્ટા (250 ક્વિન્ટલ) અથવા 50 હજાર રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ.70 કરોડ સહાય આપવામાં આવશે. લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નોંધાયેલ ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત 2.00 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે 20 કરોડની સહાય જાહેર કરી છે.
સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો
દરમિયાન બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ 240 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બટાટાને અન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત 20 કરોડ રકમની સહાય કરવામાં આવશે.