ઉત્તર ગુજરાતગુજરાત

આગાહીને પગલે એલર્ટ:ડીસા માર્કેટયાર્ડ સત્તાધીશોની ખેડૂતો-વેપારીઓને અનાજ સુરક્ષિત રાખવા સૂચના

Text To Speech
  • વોટ્સએપ મેસેજ-માઇક દ્વારા એનાઉન્સ કરી સાવચેત રહેવા જણાવ્યું

પાલનપુર : ડીસામાં વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બની ગયું છે. માર્કેટયાર્ડમાં અનાજ ન પલળે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વેપારીઓ અને ખેડૂતોને ટેલીફોનિક સૂચનાઓ તેમજ માઇક દ્વારા એનાઉન્સ કરી અનાજની બોરીઓ સુરક્ષિત જગ્યાએ રાખવા અપીલ કરી છે.


ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા 28થી 30 તારીખ સુધીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લઇ વહીવટી તંત્ર એ તમામ માર્કેટયાર્ડ સહિત અધિકારીઓને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જેને લઈ ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશો એલર્ટ બન્યા છે અને ખેડૂતો અને વેપારીઓને અનાજની બોરીઓ પલળીને ખરાબ ન થઈ જાય તે માટે ટેલીફોનિક મેસેજ દ્વારા તેમજ માઇક દ્વારા સતત એનાઉન્સ કરી તમામ વ્યાપારીઓ અને ખેડૂતોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે.

આ અંગે માર્કેટયાર્ડના સેક્રેટરી અમરતભાઈ જોષીએ જણાવ્યું હતું કે, તેમને પણ તંત્ર દ્વારા લેટર આપી વરસાદની આગાહીને પગલે એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જેને પગલે તેમણે તરત જ વોટ્સએપ મેસેજ દ્વારા ટેલિફોનિક તેમજ માઇક દ્વારા એનાઉન્સ કરી તમામ વેપારીઓ અને ખેડૂતોને વરસાદની આગાહી દરમિયાન અનાજ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે જણાવ્યું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે ઉનાળામાં વારંવાર કમોસમી વરસાદ થયો છે. ઉનાળાની અંદર અત્યાર સુધીમાં લગભગ ચારથી પાંચ વખત કમોસમી માવઠાના કારણે અનેક જગ્યાએ ખેડૂતોને નુકસાન વેઠવુ પડ્યું છે. બે દિવસ અગાઉ થયેલા કમોસમી માવઠામાં પણ ભીલડી માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારે ફરી એકવાર વરસાદની આગાહીને પગલે કોઈપણ ખેડૂતો અને વેપારીઓને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના થેરવાડામાં પિતાના ઘરે ચોરી કરી વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ ફરી ભાગી ગઈ

Back to top button