
ગાંધીનગર, તા. 28 ફેબ્રુઆરી, 2025: રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના ઉદબોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબમાં કહ્યું હતું કે, સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ બંધારણાં છ સુધારા કરનાર કોંગ્રેસ આજે સંવિધાન બચાવવાની વાત કરે છે જે નિરર્થક છે.કોંગ્રેસ તેના શાસનના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન ૮૬ વખત સુધારા કરીને સંવિધાનનું વારંવાર અપમાન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગૃહપ્રધાન અમિત શાહના માર્ગદર્શનમાં જમ્મુ-કાશમીરમાંથી ૩૭૦ ની કલમ દૂર થતા આપણું સંવિધાન અખંડ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામરાજ્યની આદર્શ કલ્પનાને સાકાર કરી છે. ભગવાનશ્રી રામલલ્લા નિજમંદિરમાં બિરાજયા છે. સાથે ૪ કરોડથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું હોવાનું તેમણે કહ્યું હતુ.
આજે ગુજરાતમાં યોજનાઓ આધાર સાથે લીંક થવાથી અને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરને કારણે વચેટિયા પ્રથા, દલાલી જેવા દૂષણો હવે ઈતિહાસ બન્યા છે. રાજ્યનો પ્રત્યેક નાગરિક સુશાસનની અનુભૂતિ કરી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતુ.
ભૂતકાળમાં વિધાનસભા ગૃહમાં તત્કાલીન સરકાર વતી રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલ ઉદ્બોધનનો સંદર્ભ ટાંકતા ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે “રાજ્યમાં ભોજન માટે અનાજની અછત છે. અનાજ બચાવવા માટે સરકારે સંયમના પગલાં શરૂ કર્યા છે. ખેડૂતોને સસ્તા અનાજની દુકાનોએથી અનાજ ન લેવાની અને આમ જનતાને અઠવાડિયે એક ટંકનું ભોજન જતું કરવાની અપીલ કરવામાં આવી છે.” તેવા ઉલ્લેખ કરવામાં આવતા હતા જેની જગ્યાએ આજે અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો ઈતિહાસ બન્યા છે. આજે મગફળી, તલ, સોયાબીન, ચણા અને રાયડો જેવા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
અગાઉ કોંગ્રેસની સરકારમાં પીડાદાયી, સમસ્યાપ્રધાન, વિકાસની સમસ્યાના ગંભીર મુદ્દાઓને પરિણામેં મુખ્યપ્રધાન કરતા સમસ્યાઓ જ પ્રધાન હતી. ભા.જ.પા.ના અથાગ પરિશ્રમના પરિણામે અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો ગુજરાતમાં ઈતિહાસ બની ચૂક્યા છે. ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન ૨૦૨૧-૨૨ માં રૂપિયા ૧૫૬૦૦૭.૦૨ કરોડ થયેલ છે. જે મુજબ ૧૪.૫૮% ની એકંદર મૂલ્યવૃદ્ધી થઇ છે.
કૃષિપ્રધાન દેશ માટે સિંચાઈ એ રક્તવાહીની સમાન છે તેમ જણાવતા કહ્યું હતુ કે, ગુજરાત સરકારે ૭૦ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે. પાનમ કડાણા અને અન્ય નાના મોટા ચેકડેમ થકી ૫૦,૦૦૦ હેકટરનો પિયત વિસ્તાર વધારવામાં સફળતા મળી છે. કોંગ્રેસના શાસનમાં સરકાર દ્વારા પીવાના પાણી પહોચાડ્યા હોય તેવા ગામોની ગણતરી કરવામાં આવતી હતી. ગુજરાતમાં હાલમાં કુલ ખેતીલાયક વિસ્તાર ૧૦૫.૮૮ લાખ હેક્ટર અને કુલ પિયત વિસ્તાર ૭૦ લાખ હેક્ટર પહોંચ્યો, રાજ્યમાં કુલ પાકનું ઉત્પાદન ૫૧૯.૭૪ લાખ મેટ્રીક ટન એ પહોંચ્યું છે. આજે કાયદા અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિને પરિણામે ગુજરાત ભૂખ, ભય અને ભ્રષ્ટાચાર થી મુક્ત તેમજ વિકાસશીલ, સલામત, સમરસ અને ગૌરવવંતુ બન્યું છે. આજે તહેવારોમાં ઉચાટનો નહિ ઉજવણીનો માહોલ જોવા મળે છે તેમ ઋષિકેશ પટેલે કહ્યું હતુ.
આજે વિધાનસભામાં પોતાની સ્પીચમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે AI જનરેટેડ કવિતાનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો,
વિકાસના પંથે ડગલેને પગલે ઝૂમ્યો.
નર્મદાના નીરથી ખીલી છે વાડીઓ,
ઉદ્યોગોના વિકાસથી દોડી રહી છે ગાડીઓ.
શિક્ષણ, આરોગ્ય, સૌને સમાન તક મળી,
ખેડૂત, વેપારી, સૌની મહેનત ફળી.
નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત,
દેશના નકશામાં, અલગ છે એની ભાત.
સૌનો સાથ, સૌનો વિકાસ, મંત્ર થયો સાકાર,
ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવા વિકાસને આકાર…