અમદાવાદ: સરખેજમાં જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારનારા 2માંથી 1ની ધરપકડ કરાતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ


15 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; શહેરનાં સરખેજ વિસ્તારનાં નહેરુનગર રાજીવ નગર પાસે આવેલા પથ્થરિયા ઢાળ પાસે 4 દિવસ પહેલા ઇલ્યાસ સુમરા નામના 21 વર્ષીય યુવકની જૂની અદાવતને લઈને તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જે અંગે સરખેજ પોલીસ દ્વારા એફઆઇઆર નોંધી મુસ્તાક સુમરા નામના વ્યક્તિની હત્યા અંગે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ આજે મૃતકના પરિવારજનોએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોલીસ કાર્યવાહી ઉપર સવાલો ઊભા કર્યા હતા.
પોલીસ કાર્યવાહીમાં ભેદભાવ હોવાના આક્ષેપ
મૃતકના પરિવારજનોમાંથી જુબેદાબેન સુમરાએ પોલીસ કાર્યવાહી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઇલ્યાસ સુમરાની હત્યામાં કુલ બે આરોપીઓ છે. મુસ્તાક સુમરા અને અરમાન સુમરા, જેમાં સરખેજ પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં તો આવી હતી પરંતુ અરમાન સુમરાની પોલીસમાં ઓળખાણ હોવાને મોડી રાતે તેને છોડી મૂકવામાં આવ્યો છે. અમારી માગણી છે કે બંને આરોપીઓ અત્યારમાં બરાબરના ગુનેગાર છે તેથી એકની ધરપકડ કરી બીજાને છોડી મૂકી ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે. સરખેજ પોલીસ દ્વારા અરમાનની પણ ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરી અમને સંતોષ અપાવે. જ્યાં સુધી અરમાન સુમરાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશનથી ઘરે જવાના નથી.
મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ; વધુ તપાસ કરાશે
અત્યારના બનાવવા અંગે સરખેજ પોલીસનાં પીઆઈના જણાવ્યા મુજબ પરિવારજનોની માંગ ધ્યાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી મુસ્તાક સુમરા છે. જેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે અરમાનનો અત્યારમાં રોલ છે કે નહીં? તેની વિગતો તથા પુરાવા મળ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે.