અમદાવાદ : ચોથી ટેસ્ટમાં ભારતને જીતવું જરૂરી, જાણો કેવી હશે પિચ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 9 માર્ચથી રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણીમાં પિચને લઈને ઘણો હોબાળો થયો છે. ત્રણેય મેચના પરિણામ ત્રણ દિવસમાં આવી ગયા હતા. ICCએ પણ ઈન્દોરની પિચને નબળી ગણાવીને ત્રણ ડિમેરિટ પોઈન્ટ આપ્યા હતા. આવી સ્થિતિમાં અમદાવાદ ટેસ્ટમાં કેવા પ્રકારની પીચ છે તે જોવું રસપ્રદ રહેશે.

ચોથી ટેસ્ટ માટે કેવી પિચ હશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદ ટેસ્ટ મેચ માટે પિચ સામાન્ય રહી શકે છે. એટલે કે આ પીચ બોલિંગ અને બેટિંગ બંને માટે અનુકૂળ રહેશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમને ભારતીય ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ સૂચના મળી નથી અને અમારા સ્થાનિક ક્યુરેટર્સ સામાન્ય ટ્રેક તૈયાર કરી રહ્યા છે, જેમ કે અમે સમગ્ર સિઝનમાં કર્યું છે.”
હારને કારણે ટીમ ઈન્ડિયાનો પ્લાન બદલાઈ ગયો
ત્રીજી ટેસ્ટની શરૂઆત પહેલા રોહિત શર્માએ અમદાવાદ ટેસ્ટમાં ગ્રીન ટોપ વિકેટ બનાવવાના સંકેત આપ્યા હતા, જેથી WTC ફાઈનલની તૈયારીઓ કરી શકાય. પરંતુ હવે ઈન્દોરમાં હાર બાદ એવું થતું જણાતું નથી. રોહિતે કહ્યું હતું કે, ‘તે ચોક્કસપણે એક શક્યતા છે. આપણે આ માટે ખેલાડીઓને પણ તૈયાર કરવાની જરૂર છે. શાર્દુલ ઠાકુર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે અમારા ગેમ પ્લાનમાં આવે છે. જો અમે ત્રીજી ટેસ્ટમાં સારો દેખાવ કરીશું તો અમે ચોક્કસપણે અમદાવાદમાં કંઈક અલગ કરવાનું વિચારીશું.
ભારત માટે જીત ખૂબ જ મહત્વપૂર્ણ
ભારતીય ટીમ માટે અમદાવાદ ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તે અમદાવાદમાં જીતશે તો તે WTC ફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયન ટીમ ડ્રો કે જીતની સ્થિતિમાં ભારત માટે મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં ભારતે પ્રાર્થના કરવી પડશે કે ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે ઓછામાં ઓછી એક મેચ ડ્રો કરે અથવા જીતે.