20 વર્ષ પછી કાશ્મીરી પંડિતોએ મંદિરમાં પૂજા કરી, શોપિયાં ગામમાં મૂર્તિ સ્થાપિત કરાઈ


શોપિયા, 6 ઓક્ટોબર : કાશ્મીરી પંડિતોએ શનિવારે ઉત્તર કાશ્મીરના શોપિયા જિલ્લાના નદીમાર્ગ ગામમાં પ્રાચીન અર્ધનારીશ્વર મંદિરમાં 20 વર્ષ પછી પૂજા કરી અને મૂર્તિ સ્થાપિત કરી છે તેમ અધિકારીઓએ માહિતી આપી હતી. કેન્દ્રશાસિત પ્રદેશના દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો નદીમાર્ગ ખાતેના પ્રાચીન મંદિરના સ્થળે ભેગા થયા હતા અને પૂજામાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂજા સમારોહ 20 વર્ષના અંતરાલ પછી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો, જેમાં સ્થાનિક મુસ્લિમોએ કાશ્મીરી પંડિત ભાઈઓનું સ્વાગત કર્યું હતું જેઓ પૂજામાં ભાગ લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા.
શોપિયાના ડેપ્યુટી કમિશનર (ડીસી) મોહમ્મદ શાહિદ સલીમ ડારે અર્ધનારીશ્વર મંદિરની મુલાકાત લીધી અને કહ્યું કે આ પ્રસંગ શાંતિ અને સમૃદ્ધિના યુગને દર્શાવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા અને પેટા વિભાગના અધિકારીઓની સાથે સ્થાનિક સમુદાયોએ હાજરી આપી હતી. શ્રદ્ધાળુઓને આવશ્યક સેવાઓ પૂરી પાડતા અન્ય વિભાગો સાથે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ડીસીએ વ્યવસ્થાની સમીક્ષા કરી અને ભક્તો સાથે વાતચીત કરી અને કોમ્યુનિટી હોલ અથવા યાત્રા ભવન બનાવવાની માંગ સહિત તેમના કલ્યાણને લગતા વિવિધ મુદ્દાઓ સાંભળ્યા હતા. તેમણે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. ડીસીએ નદીમાર્ગમાં કાશ્મીરી પંડિતોના ખાલી પડેલા ઘરોની પણ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો :- આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ T20 મેચ, જાણો ટીમ અને શેડયૂલ