ગ્રીન એનર્જી પર અદાણી ગ્રુપનું લક્ષ્ય, 2030 સુધીમાં 10 કરોડ છોડ વાવશે

- અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી પર ફોકસ કરવાની તૈયારી કરી રહ્યું છે
- આ અંતર્ગત ગ્રુપ આગામી દિવસોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરશે
- અદાણી ગ્રુપ જંગી રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: અદાણી ગ્રુપ આગામી દિવસોમાં ગ્રીન એનર્જી બિઝનેસ પર વધુ ધ્યાન આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથે ખાસ રણનીતિ તૈયાર કરી છે. જેમાં 2030 સુધીમાં અદાણી ગ્રુપ 10 કરોડ છોડ વાવશે. ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનની આ વ્યૂહરચના હેઠળ અદાણી ગ્રુપ મોટા પાયે વૃક્ષારોપણ કરશે અને આગામી વર્ષોમાં જંગી રોકાણ કરશે.
અદાણી ગ્રુપે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન હાંસલ કરવા માટે આગામી દાયકામાં 100 બિલિયન ડોલરનું જંગી રોકાણ કરવાનું છે. આ ઉપરાંત અદાણી ગ્રુપ 2030 સુધીમાં 10 કરોડ છોડ વાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગ્રુપની પાંચ કંપનીઓએ નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આ 5 કંપનીઓનું નેટ ઝીરો ટાર્ગેટ
અદાણી ગ્રુપની પાંચ કંપનીઓ – અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, એસીસી અને અંબુજા સિમેન્ટે 2050 અથવા તે પહેલાં નેટ ઝીરો થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. નેટ ઝીરો એટલે કાર્બન ઉત્સર્જનના સંદર્ભમાં તટસ્થ રહેવું. આ માટે એક તરફ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગ્રીન એનર્જીનો ઉપયોગ વધારવામાં આવે છે તેમજ બીજી બાજુ ડીકાર્બોનાઇઝેશના પગલાં જેવા કે વૃક્ષારોપણ, વગેરે પર ધ્યાન આપવામાં આવે છે.
પાંચેય કંપનીઓએ આ કામ શરૂ કરી દીધું છે
અદાણી ગ્રુપની પાંચ કંપનીઓ કે જેમણે નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે તે પહેલેથી જ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારવા, કામગીરીને વધુ ઇલેક્ટ્રિક બનાવવા, બાયોફ્યુઅલનો ઉપયોગ કરવા અને વેસ્ટ હીટ એનર્જી અને એનર્જી સ્ટોરેજ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જેવા પગલાં લઈ રહી છે. પરંતુ તે સક્રિય રીતે કામ કરી રહી છે. આગામી દિવસોમાં આને વધુ ઝડપી બનાવવામાં આવશે.
વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક
અદાણી ગ્રુપ ગુજરાતના કચ્છના રણમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક પણ બનાવી રહ્યું છે. ચેરમેન ગૌતમ અદાણીએ તાજેતરમાં તેની તસવીરો શેર કરી છે, જે દર્શાવે છે કે રણમાં ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કયા સ્તરે ચાલી રહ્યું છે. અદાણી ગ્રુપનો નિર્માણાધીન ગ્રીન એનર્જી પાર્ક 726 ચોરસ કિલોમીટરમાં બની રહ્યો છે. ગૌતમ અદાણીએ તસવીરો સાથે જણાવ્યું હતું કે, તેમના ગ્રુપનો ગ્રીન એનર્જી પાર્ક એટલો વિશાળ હશે કે તે અવકાશમાંથી પણ જોઈ શકાશે. પાર્કમાં 30 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે 2 કરોડથી વધુ ઘરોને પ્રકાશિત કરશે.
3 ગીગા ફેક્ટરી પર કામ ચાલી રહ્યું છે
ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે ભારતની સૌથી મોટી વિન્ડ ટર્બાઇનમાંથી વીજળીનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. તેમાંથી 5.3 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝ 10 ગીગાવોટ સોલર પેનલ્સ, 10 ગીગાવોટ વિન્ડ ટર્બાઇન અને 5 ગીગાવોટ હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરના લક્ષ્ય સાથે 3 ગીગા ફેક્ટરી પણ બનાવી રહી છે.
આ પણ વાંચો, અંજાર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની ભર્તી