ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના નરોડામાં રહેતા યુવાને મોદીના ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા – સ્ટેન્ડ ઇન્ડિયા’ સૂત્રને ચરિતાર્થ કર્યું, અનેક લોકોને આ રીતે રોજગારી આપી

Text To Speech

અમદાવાદઃ કોરોનાકાળમાં મોટાભાગના લોકોએ અનેક તકલીફોનો સામનો કર્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સૂક્ષ્મ આયોજન અને ત્વરિત અમલીકરણથી ભારત દેશ અને આપણું રાજ્ય ગુજરાત કોરોનાની વૈશ્વિક મહામારીની અસરને ઘટાડવામાં સફળ રહ્યું છે. કોરોનાના કપરાકાળમાં સરકાર લોકોના જીવ બચાવવાની સાથે સરળતાથી જીવનનિર્વાહ થઈ શકે તેની કામગીરીમાં વ્યસ્ત હતી અને સાથે સાથે જ અમુક મહેનતુ અને સાહસિક યુવાનોની તેમના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહન આપવાનું કામ પણ ચાલી રહ્યું હતું.

કોરોનાના સમયમાં નોકરી ચાલુ રહેશે કે નહીં તે સવાલ ઘર કરી ગયો હતો, ત્યારે જ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ઘનશ્યામસિંહ નામના યુવાને કંઈક અલગ કરી બતાવ્યું છે. આમ તો, તેઓ છેલ્લા 5 વર્ષથી લેસર મશીનરી ક્ષેત્રમાં નોકરી કરતા હતા. પરંતુ નાનો તો નાનો પણ પોતાનો ધંધો હોવો જોઈએ એવી તેમની ઈચ્છા વર્ષોથી હ્રદયમાં ધરબાયેલી હતી. તેવામાં કોરોનાના લોકડાઉનના સમયગાળામાં નોકરી બંધ થવાથી તેમણે તે સમયનો સદુપયોગ સંશોધન અને સ્વવિકાસમાં રોકવાનું નક્કી કર્યું. ઘનશ્યામસિંહની ઈચ્છા લેસર ટેક્નોલોજી થકી ગિફ્ટ આર્ટિકલ અને સોવેનિયર પ્રોડેક્ટ્સ બનાવવાનું યુનિટ સ્થાપવાનો હતો. જેમાં રોકાણ માટે માતબર રકમની જરૂર હતી.

ઈન્ટરનેટ સહિતના વિવિધ માધ્યમો થકી કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે તેમણે જાણકારી મેળવી. તેમને 50 હજાર કે લાખ નહીં પણ 5 લાખ જેટલા ભંડોળની જરૂર હતી. તેવામાં કેન્દ્ર સરકારની મુદ્રા યોજના વિશે તેમને જાણકારી મળી. લેસર ટેક્નોલોજીથી ગિફ્ટ આર્ટિકલ અને સોવેનિયર પ્રોડક્ટ બનાવવાના એક નાના પ્લાન્ટ વિશે તેઓ વિચારી રહ્યા હતા. આ પ્લાન્ટમાં રોજગારીનું સર્જન પણ થવાનું હતું જેથી તેમને પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંગે પણ જાણ થઈ. SBI બેંકમાં તેમણે મુદ્રા યોજના માટે અરજી કરી અને બીજી અરજી તથા જરૂરી દસ્તાવેજો PMEGP અંતર્ગત સબસિડી મેળવવા માટે સબમિટ કર્યા અને જોતજોતામાં તો તેમને તબક્કાવાર ધીરાણ અને સબસિડી મળવાની શરૂ પણ થઈ ગઈ.

અમદાવાદના નરોડામાં સ્થિત ‘અબજ લેસર આર્ટ’ શરૂ થયાને છ મહિના જેટલો સમય  વીતી ગયો છે. આ સ્ટાર્ટઅપ થકી ખૂબ જ સારું એવું કામ ચાલી રહ્યું છે. ઘણીવખત કર્મચારીઓને ઓર્ડર પૂરા કરવા માટે ઓવરશિફ્ટ પણ કરવી પડે છે. આમ, ઘનશ્યામભાઈની સફળતાની ગાથા પરથી એ વાતની સાબિતી મળે છે કે, ગુજરાતના સાહસિક યુવાનોના સપનાઓ સાકાર કરવા માટે સરકાર હરહંમેશ કટિબદ્ધ છે અને રહેશે.

Back to top button