ગુજરાત

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે બે બચ્ચાને જન્મ આપ્યો

Text To Speech

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે બે બચ્ચાને જન્મ આપ્યો છે. મહત્વનું છે કે દર વર્ષે અંદાજિત 7 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાત લેતા હોયો છે.

રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. દર વર્ષે અંદાજિત સાત લાખથી પણ વધુ લોકો ઝૂની મુલાકાતે આવે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે 18 મે બુધવારના રોજ વહેલી સવારના સમયે બે વાઘ બાળનો જન્મ થયો હતો. માતા ગાયત્રી દ્વારા બચ્ચાઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે.

અગાઉ નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી 6 મે 2015ના રોજ એક સફેદ માદા વાઘ, નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 16 મે 2015ના રોજ ચાર સફેદ માદા વાઘ, નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 2 એપ્રિલ 2019ના રોજ બે-બે નર માદા સફેદ વાઘનો જન્મ થયો હતો. આમ રાજકોટ ઝૂ ખાતે અત્યાાર સુધીમાં કુલ 11 સફેદ વાઘ બાળનો જન્મ થયેલ છે. જેમાંથી ગાયત્રી વાઘણે 10 તેમજ યશોધરા વાઘણે 1 બચ્ચાને જન્મ આપ્યો હતો.

વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહની એક જોડી (સિંહ-નીલ તથા સિંહણ-સૌમ્યા) આપવામાં આવેલ છે. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આપવામાં આવ્યા હતા.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ-2નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 6 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-1, પુખ્ત માદા-3 તથા બચ્ચા-2નો સમાવેશ થાય છે.

હાલ ઝૂ માં જુદી જુદી 59 પ્રજાતિઓનાં કુલ-490 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાં ઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કમિશનર અમિત અરોરા તેમજ ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

Back to top button