વલસાડ પાસે જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર પલટતાં આગ લાગી, નેશનલ હાઈવે-48 બંધ કરાયો


વલસાડ, 21 ફેબ્રુઆરી 2024, વાઘલધારા પાસેના નેશનલ હાઈવે પર આજે સાંજના સમયે જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળતા ગણતરીની સેકન્ડમાં જ ટેન્કર બળીને ખાક થઈ ગયું હતું. આગ એટલી ભીષણ હતી કે, પાછળ આવી રહેલા અન્ય કેટલાક વાહનો પણ ચપેટમાં આવી ગયા હતા. આગના પગલે નેશનલ હાઈવે પરનો વાહનવ્યવહાર થંભી ગયો છે. હાલ ફાયરબ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
કેટલાક વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ જિલ્લાના વાઘલધારા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલા જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હોય આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવેલા કેટલાક વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.ફાયરબ્રિગેડની ટીમ હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચોઃવડોદરા બોટ દુર્ઘટનાઃ સરકારે કોર્ટમાં કહ્યું, 40માંથી 21 લેકમાં સુરક્ષાનાં કોઈ સાધનો જ નહોતા