નેશનલ

કોંગ્રેસમાં એક પરિવાર એક ટિકિટ સહિત અનેક ફેરફારની શક્યતા, ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં લેવાશે નિર્ણય

Text To Speech

રાજસ્થાનના ઉદયપુરમાં 13થી 15 મે સુધી કોંગ્રેસની ચિંતન શિબિર યોજાવવાની છે. જેને લઈને ભારે તૈયારીઓ ચાલી રહી છે. ચિંતન શિબિર પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાના સંકેત મળી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચિંતન શિબિરમાં કોંગ્રેસ પાર્ટી ‘એક પરિવાર, એક ટિકિટ’ના રૂલને લાગુ કરી શકે છે. આ ઉપરાંત ‘એક વ્યક્તિને એક પદ’નો નિયમ પણ બનાવી શકાય છે. કોંગ્રેસ સમિતિઓમાં દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને મહિલાઓને 50 ટકા હિસ્સો આપવો જોઈએ અને કોંગ્રેસ સમિતિઓનો કાર્યકાળ 3 વર્ષ માટે નક્કી કરી શકાય. ચિંતન શિબિરમાં આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવ્યા બાદ ફેરફારો પર મહોર લાગી શકે છે.

આ તમામ દરખાસ્તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા રચાયેલી સંગઠન બાબતોની સમિતિ દ્વારા ચિંતન શિવિરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉદયપુરમાં યોજાનારી ચિંતન શિબિરમાં વ્યાપક ચર્ચા બાદ આ ફેરફારો પર મહોર મારવામાં આવશે.

કોંગ્રેસમાં જો ‘એક પરિવાર, એક ટિકિટ’નો નિયમ લાગુ કરાશે તો તેને કોંગ્રેસ દ્વારા ભાજપના પરિવારવાદના આરોપનો જવાબ હોય શકે છે.

સૂત્રોનું માનવામાં આવે તો કોંગ્રેસ ‘એક પરિવાર, એક ટિકિટ’ના રૂલમાં વિશેષ જોગવાઈ લાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે જો આ નિયમ આવશે તો પાર્ટીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કામ કરનારા નેતા અને પાર્ટીમાં સક્રિય તેમના પરિવારને ટિકિટ આપવા માટે યોગ્ય માનવામાં આવશે. જો વિશેષ જોગવાઈ લાગુ થશે તો ગાંધી પરિવારમાંથી એકથી વધુ લોકો ચૂંટણી લડી શકશે.

દિલ્હીમાં મળેલી CWCની મીટિંગમાં પાર્ટીના ટોચના નેતાઓએ રાહુલ ગાંધીને ભારતમાં ભ્રમણ કરવાની સલાહ આપી. નેતાઓનું કહેવું છે કે જો રાહુલ ગાંધી દેશભરમાં ફરશે તો પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં જોશ આવશે અને પાર્ટી સંગઠન મજબૂત બનશે.

કોંગ્રેસ ભલે પ્રશાંત કિશોરને પાર્ટીમાં નથી લાવી શકી, પરંતુ PKએ કોંગ્રેસને આપેલા સૂચનોની અસર દેખાઈ રહી છે. ચૂંટણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ચૂંટણી સંચાલનની જવાબદારી મહાસચિવને સોંપવાનો પણ પ્રસ્તાવ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દરેક લોકસભા મતવિસ્તારમાં એક-એક નિરીક્ષકની નિમણૂક કરવાનો પ્રસ્તાવ પણ છે, આ નિરીક્ષક સીધા જનરલ સેક્રેટરી ચૂંટણી મેનેજમેન્ટને રિપોર્ટ કરશે. તેવી જ રીતે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પણ નિરીક્ષકોની નિમણૂક થઈ શકે છે. જે નેતા મુખ્ય પદ સંભાળશે પછી તેમના માટે ત્રણ વર્ષનો “કુલિંગ ઓફ પીરિયડ” રાખવાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે. આ સાથે કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડને ફરીથી સક્રિય કરવા માટે વિચારણા ચાલી રહી છે.

હાલ કોંગ્રેસના નેતાઓને ચિંતન શિબીરના પરિણામોથી ઘણી આશાઓ છે. આ ચિંતન શિબીરમાં પાર્ટી હાઈકમાન્ડથી લઈને તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ, વિધાનસભા પક્ષના નેતાઓ, વિદ્યાર્થીઓ, યુવા અને મહિલા કોંગ્રેસના હોદ્દેદારોના 400 જેટલા પ્રતિનિધિઓ તેમાં ભાગ લેવાના છે. વર્કિંગ કમિટીની બેઠકને સંબોધતા સોનિયા ગાંધીએ નેતાઓને અનુશાસન અને એકતાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “ચિંતન શિબીર માત્ર રસમ-રિવાજ ના સાબિત થવી જોઈએ. પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.” એ જોવું રસપ્રદ રહેશે કે આ ચિંતન શિબિરના મંથન દ્વારા કોંગ્રેસ કયો માર્ગ શોધે છે.

Back to top button