ચૂંટણી 2022 : બીજા તબક્કા માટે આદિવાસીઓ 13 બેઠકો ઉપર કરશે મતદાન, જાણો શું છે સ્થિતિ


ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 14 આદિવાસી અનામત સીટ પર મતદાન થયું છે. હવે બધાની નજર બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતની 13 આદિવાસી બેઠકો પર છે. હવે આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ પ્રચાર તેજ કર્યો છે. પરંતુ આજે પણ આદિવાસી સમાજો તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સંઘર્ષ કરતા જોવા મળે છે.
છેલ્લા 2 ટર્મમાં આદિવાસી બેઠકોનું રાજકીય સમીકરણ
2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે 2012ની ચૂંટણીમાં આ 13 ST બેઠકો પર 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં ભાજપને માત્ર ત્રણ અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી. 2012માં પાંચ ટકાથી ઓછા માર્જિન સાથે ત્રણ બેઠકો હતી. જેમાં કોંગ્રેસે બે અને ભાજપે એક બેઠક જીતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 13 બેઠકો પર 67.85 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 4 અને કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. જ્યારે એક બેઠક અન્ય પક્ષે જીતી હતી. 2017માં પાંચ સીટો પર જીતનું માર્જીન પાંચ ટકાથી ઓછું હતું. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેને બે-બે બેઠકો મળી હતી.
પાટનગર સહિતના શહેરોમાં ભાજપ પકડ મજબુત કરવા કરે છે પ્રયાસ
ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. આનો મોટો ભાગ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે. તેમાં આદિવાસી વિસ્તાર પંચમહાલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. ભાજપ આ વિસ્તારમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં આદિવાસી આગેવાન મોહનભાઈ રાઠવા અગ્રણી છે.
બીજા તબક્કાની આદિવાસી બેઠકો MP અને રાજસ્થાન નજીક
અહીં, કોંગ્રેસ પણ બીજા તબક્કાની ચૂંટણીમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેની અગાઉની પકડ મજબૂત રાખવાનો પૂરો પ્રયાસ કરશે. આ વિસ્તાર રાજસ્થાનને અડીને આવેલો છે. કોંગ્રેસ નેતા અશોક ગેહલોત રાજ્યમાં ચૂંટણીની કામગીરી જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ વિસ્તાર તેમના માટે મહત્વપૂર્ણ છે. આ સરહદી વિસ્તારમાં બંને રાજ્યોના મુદ્દાઓ અને સંબંધોની મોટી અસર છે. આવતા વર્ષે એમપી અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, આ વિસ્તાર બંને પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.