ચૂંટણી 2022

95% ઈલેક્ટોરલ બોન્ડ ભાજપમાં જવાથી, કોંગ્રેસ છે તેનાથી વંચિત

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે શનિવારે સુરતમાં દાવો કર્યો હતો કે ભાજપ કુલ ચૂંટણીના દાનમાંથી 95% દાન મેળવી રહી છે અને દાતાઓ ડરના કારણે અન્ય પક્ષોને દાન આપતા નથી. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર અભિયાનના ભાગરૂપે સુરતમાં એક પત્રકાર પરિષદને સંબોધતા પક્ષના વરિષ્ઠ નેતા ગેહલોતે ભાજપ પર ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ ગૃહોને “ધમકી” આપવાનો આરોપ મૂક્યો હતો, જેઓ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોને દાન આપવા માંગે છે.

તેમણે આપ અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કરતા કહ્યું કે તેઓ તેમની વિરુદ્ધ કોઈપણ નકારાત્મક સમાચારને દબાવવા માટે પૈસા ખર્ચે છે.

ગેહલોતે જણાવ્યું, જો અન્ય પક્ષોને દાન આપવામાં આવે છે, તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા વિભાગ દાતાઓના ઘર સુધી પહોંચે છે. આપણા દેશમાં બધું દાન એક જ પક્ષે કબજે કર્યું છે. તેઓએ કરોડો રૂપિયા એકઠા કર્યા છે, જેનો ઉપયોગ તેઓ દેશભરમાં ફાઇવ-સ્ટાર પાર્ટી ઓફિસ બનાવવા માટે કરે છે.

ગેહલોતે કહ્યું, ઇલેક્ટોરલ બોન્ડની શરૂઆત પછી, કુલ દાનમાંથી 95% ભાજપને જાય છે. દાતાઓ ભયના કારણે અન્ય પક્ષોને દાન આપતા નથી. ભાજપએ એક મોડેલ રજૂ કર્યું છે, જેમાં દાન દ્વારા એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ મહારાષ્ટ્ર અને કર્ણાટકની જેમ રાજ્ય સરકારોને તોડી પાડવા માટે કરવામાં આવે છે.

ભાજપ પર “ફાસીવાદી” હોવાનો આરોપ લગાવતા ગેહલોતે કહ્યું કે ભાજપ કોઈપણ નીતિ, કાર્યક્રમ અથવા સિદ્ધાંતોને બદલે ધાર્મિક આધાર પર ચૂંટણી જીતે છે.

ગેહલોતે જણાવ્યું, ગુજરાત મહાત્મા ગાંધીની ભૂમિ છે, પરંતુ અહીં હિંસા અને અશાંતિનું વાતાવરણ છે. લોકશાહી માટે સ્થિતિ જોખમી છે. સમાજના તમામ વર્ગો ભાજપથી ખુશ નથી. આ સરકારને હટાવવાનો સમય આવી ગયો છે અને કોંગ્રેસ આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે.

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક ગેહલોતે આપ અને તેના સંયોજક કેજરીવાલ પર પૈસા દ્વારા મીડિયાને નિયંત્રિત કરવાનો આરોપ લગાવ્યો હતો. અને કહ્યું, કેજરીવાલ જે કરી રહ્યા છે તે લોકશાહી માટે પણ ખતરનાક છે. કેજરીવાલ તેમની વિરુદ્ધ કોઈપણ નકારાત્મક સમાચારને દબાવવા માટે પૈસા ખર્ચે છે. તેમના ટીવી ઈન્ટરવ્યુ પણ એક નાટક છે. તેઓએ છેલ્લા ત્રણ મહિનામાં એવું વાતાવરણ ઊભું કર્યું છે કે બધું જ તેમની તરફેણમાં થઈ ગયું છે, પરંતુ તે સાચું નથી. લોકો તેની ચાલાકીથી વાકેફ છે.”

આ પણ વાંચો:સુરત લિંબાયત બેઠક પર ‘પાટીલ સામે પાટીલના ભાણેજ’, કોનું પલડું ભારે ?

Back to top button