ગુજરાત

ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં 3300 કરોડના કામોના લોકાર્પણ-ખાતમૂર્હુત કરાશે, બે દિવસનું ટૂંકુ વિધાનસભા સત્ર મળશે

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. આ પહેલાં સરકાર વિકાસકામો દ્વારા મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહી છે. સબકા સાથ સબકા વિકાસ સૂત્રને લઈને ચૂંટણી પહેલાં સરકાર રાજ્યમાં 3300 કરોડના 20 હજાર કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.ચૂંટણી અગાઉ બે દિવસીય ચોમાસુ સત્ર સપ્ટેમ્બર માસમાં યોજાશે. મળતી માહિતી પ્રમાણે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય વિધાનસભાનું સત્ર યોજાશે.

સત્ર દરમિયાન બે સુધારા ખરડા રજૂ થઈ શકે
આ સત્રમાં 4 બેઠક યોજવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સત્ર દરમિયાન બે સુધારા ખરડા રજૂ થઈ શકે છે. બે દિવસીય વિધાનસભાના સત્ર દરમિયાન બે સરકારી ખરડા રજૂ થઈ શકે છે. વૈધાનિક અને સંસદીય વિભાગ દ્વારા કામકાજનું કેલેન્ડર બનાવાયા બાદ વિધાનસભા ખાતે કામની યાદી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકું સત્ર મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

સેવાસેતુમાં 99.99 ટકા અરજીઓનો નિકાલ
રાજ્યમાં આગામી સમયમાં અંદાજિત 3300 કરોડના કુલ 20 હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે.વાઘાણીએ કહ્યું કે, રાજ્યમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમના સાત તબક્કાઓ અંતર્ગત 41,14,799 મળેલી અરજીઓ પૈકી 41,14,489 અરજીઓ એટલે કે 99.99 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

14મી વિધાનસભાનું અંતિમ સત્ર
વિધાનસભાની ચૂંટણી પહેલા 14મી વિધાનસભાનું આ અંતિમ અને છેલ્લું ચોમાસુ સત્ર યોજાશે. ત્યારબાદ દિવાળી પછી તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પણ થશે, જ્યારે આ બે દિવસે વિધાનસભા સત્રમાં બે સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે.ડિસેમ્બર માસના મધ્યકાળ સુધીમાં નવી સરકારની રચના થઈ જશે, ત્યારે આગામી માર્ચ માસમાં યોજાનારા શિયાળુ સત્રમાં નવી સરકાર બજેટ રજૂ કરશે. આમ, 15મી વિધાનસભામાં નવી સરકાર નવા બજેટનો પ્રારંભ કરાવશે.

Back to top button