ગુજરાતચૂંટણી 2022વિશેષ

રિલાયન્સ દ્વારા નિર્મિત ‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’નું ઇન્દ્રોડા સર્કલ પર અનાવરણ

Text To Speech

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગાંધીનગરના ચ-0, ઇન્દ્રોડા સર્કલ પર ‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું અનાવરણ ગુજરાતના ગૃહ તેમજ મહેસૂલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની સાથે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય​ એસ.કે.ચતુર્વેદી (આઇ.એફ.એસ) તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ (ઇન્ચાર્જ), ગુજરાત રાજ્ય નિત્યાનંદ વાસ્તવ (આઇ.એફ.એસ.) તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં આજે મંગળવારે કરવામાં આવ્યું હતું.

શું છે ‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’ ?

‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) નો ભાગ છે અને તેને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં સ્થાપવામાં આવ્યો છે. આર.આઇ.એલ. સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 5500 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે, જેમાંથી ‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’ લગભગ 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ (કુલ 12 પ્રતિકૃતિ), દિપડા, ચોશિંગા, ચીત્તલ, અજગર, વરૂ, લંગુર, કિડીખાઉ (પેંગોલિન), ગીધ,વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી હતી.

ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે : હર્ષ સંઘવી

ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના ગૃહ અને મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “હવેથી ગાંધીનગરની મુલાકાતે આવનારા તમામ મુલાકાતીઓ માટે ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. આ ગીરની પ્રતિકૃતિ આપણને ગીરના સિંહો, ત્યાંના વૃક્ષો, જંગલ અને અન્ય પ્રાણીઓની આબેહૂબ અનુભૂતિ કરાવે છે. હું રિલાયન્સ ફાઉન્ડેશન અને પરિમલભાઈને ગીર અને તેના સિંહોના પ્રચાર માટેના સતત પ્રયત્નો બદલ અભિનંદન આપું છું.”

શું કહ્યું પરિમલભાઈ નથવાણીએ ?

“મને લગભગ ત્રણ દાયકાથી વધારે સમયથી ગીરના સિંહો પ્રત્યે અપ્રતિમ લગાવ છે. રિલાયન્સમાં અમારો પ્રયાસ ગુજરાત અને ભારતના ગર્વ સમાન અને માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળતા એશિયાટિક સિંહો અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો છે,” એમ રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થોડા સમય વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ આંતર્રાષ્ટ્રીય એરપોર્ટમાં ડોમેસ્ટીક ટર્મિનલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા એશિયાટીક સિંહો પર આધારીત ધી ગીરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને હમણાં થોડા સમય પહેલાં જ ડોમેસ્ટીક ટર્મિનલની બહાર પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.

Back to top button