સ્પોર્ટસ

એશિયા કપમાંથી પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી આઉટ, પૂર્વ કેપ્ટને આપી આ ચોંકાવનારી પ્રતિક્રિયા

Text To Speech

પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી એશિયા કપમાંથી બહાર થયા બાદ આઘાતમાં છે. ત્યાંના ક્રિકેટ ફેન્સથી લઈને પૂર્વ ક્રિકેટર, શાહીન આફ્રિદી વિશે સતત નિવેદનો આપી રહ્યા છે. આ નિવેદનોમાં સૌથી વિચિત્ર નિવેદન પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર અને કેપ્ટન વકાર યુનુસે આપ્યું છે. તેણે પોતાના ટ્વીટમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરનો ઉલ્લેખ કર્યો છે, જેના કારણે તેને ભારતીય પ્રશંસકોના ગુસ્સાનો પણ ભોગ બનવું પડ્યું છે. યુનિસને લાગે છે કે આફ્રિદીની બહાર નીકળવાથી ભારતના ટોચના ક્રમના બેટ્સમેન રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને રાહત મળી છે. આ ત્રણેય બેટ્સમેનોથી દુનિયાભરના બોલરો પરેશાન છે. છેલ્લી વખત જ્યારે શાહીને ટી20 વર્લ્ડ કપમાં તેને પરેશાન કર્યો હતો ત્યારે યુનુસને લાગ્યું કે તે દરેક વખતે સફળ થશે.

શું કહ્યું વકાર યુનિસે પોતાના ટ્વીટમાં ?

આ સમગ્ર પ્રકરણમાં વકાર યુનિસે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, શાહીન આફ્રિદીની ઈજા ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનો માટે એક મોટી રાહતના સમાચાર છે. નિરાશ છીએ કે અમે તેને એશિયા કપમાં રમતા જોઈ શકીશું નહીં. આશા છે કે તું જલ્દી પાછો આવીશ.” આફ્રિદી ઘૂંટણની ઈજાથી પરેશાન હતો. ડોક્ટરોએ તેમને 4-6 અઠવાડિયા સુધી આરામ કરવાનું કહ્યું છે. આફ્રિદીના એક્ઝિટનો અર્થ એ છે કે એશિયા કપમાં બે મુખ્ય બોલરો જોવા મળશે નહીં. તેની પહેલા ભારતનો જસપ્રીત બુમરાહ પણ આઉટ થઈ ગયો છે.

આફ્રિદી એશિયા કપ સાથે આ શ્રેણી પણ ગુમાવશે

શાહીન આફ્રિદી એશિયા કપની સાથે સાથે ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણીમાં પણ નહીં રમે. ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડ કપ પહેલા તે વાપસી કરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, આફ્રિદી ન્યુઝીલેન્ડ સામેની T20 ત્રિકોણીય શ્રેણીમાંથી વાપસી કરી શકે છે. ગાલેમાં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ફિલ્ડિંગ દરમિયાન આફ્રિદીને આ ઈજા થઈ હતી.

ઈજાગ્રસ્ત હોવા છતાં તેની પસંદગી થઈ હતી

પાકિસ્તાનની ટીમ હાલ નેધરલેન્ડમાં છે. શાહીન પોતાનું પુનર્વસન પૂર્ણ કરવા માટે ટીમની સાથે રહેશે. એશિયા કપ માટે શાહીનના સ્થાનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પાકિસ્તાનની ટીમ સોમવારે કાલે રોટરડેમથી દુબઈ પહોંચશે. આફ્રિદીની ઈજા છતાં એશિયા કપ માટે પસંદગી કરવામાં આવી હતી. સાથે જ અનુભવી હસન અલીને બહાર રાખવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે હસન અલી ટીમમાં વાપસી કરશે.

ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે જ હશે

મહત્વનું છે કે 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં પાકિસ્તાનની પ્રથમ મેચ ભારત સામે થશે. આ બંને ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ગ્રુપ Aમાં કુલ ત્રણ ટીમો છે, ભારત અને પાકિસ્તાન સિવાય ક્વોલિફાયર રાઉન્ડમાં જીતનારી ટીમ આ ગ્રુપમાં જગ્યા બનાવશે. શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે.

Back to top button