વાટાઘાટથી સમસ્યા નહી ઉકેલાતા 24 અને 25 માર્ચે બેન્કોમાં હડતાલ


નવી દિલ્હી, 15 માર્ચ: વાટાઘાટથી સમસ્યા નહી ઉકેલાતા 24 અને 25 માર્ચે બેન્કોમાં હડતાલ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU)એ ઘોષણા કરી છે કે 24 અને 25 તારીખે બે દિવસીય હડતાલ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થશે. આ નિર્ણય ભારતીય બેન્કો યુનિયન (આઇબીએ) સાથે થયેલી વાટાઘાટમાં કોઇ સકારાત્મક નિર્ણય નહી આવવાને કારણે લેવામાં આવ્યો છે. UFBUના સભ્યો વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે આઇબીએને મળ્યા હતા, જેમાં દરેક કેડરમાં ભરતી અને પાંચ દિવસીય સપ્તાહ જેવી માંગ સામેલ કરવામાં આવી હતી.
NCBEના જનરલ સેક્રેટરીએ માહિતી આપી
નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE)ના જનરલ સેક્રેટરી એલ ચંદ્રશેખરે કહ્યું કે આ મુખ્ય મુદ્દાઓ પર કોઈ ઉકેલ નીકળ્યો નથી. UFBU, નવ બેંક કર્મચારી યુનિયનો ધરાવતી સંસ્થા છે, આ માંગણીઓને લઈને હડતાલની જાહેરાત કરી ચૂકી છે. આમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવાની માંગનો પણ સમાવેશ થાય છે.
યુનિયને આ માંગણી કરી હતી
આ ઉપરાંત, યુનિયને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS)ના તાજેતરના નિર્દેશો પાછા ખેંચવાની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ સૂચનાઓ કર્મચારીઓની નોકરીની સુરક્ષા માટે ખતરો છે. તેમજ કર્મચારીઓ પર તેની વિપરીત અસર પડશે. UFBUએ DFS દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના “માઇક્રો-મેનેજમેન્ટ” સામે પણ વિરોધ દર્શાવ્યો છે અને કહ્યું છે કે આ બેંક બોર્ડની સ્વાયત્તતાને નબળી પાડે છે.
અન્ય માંગણીઓમાં IBA સાથેના બાકી પ્રશ્નોનું નિરાકરણ, ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો અને મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આવકવેરામાંથી મુક્તિની પણ માંગ કરવામાં આવી છે. UFBUમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) જેવા મોટા બેંક યુનિયનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ યુક્રેનમાં શાંતિની આશા વધી, પુતિને અમેરિકાનો પ્રસ્તાવ સ્વીકાર્યો, ટ્રમ્પે કહ્યું યુક્રેનની સેનાનો જીવ બક્ષો