અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલ

સૌને સમાન હક મળી રહે તે માટે UCC ખૂબ જ જરૂરી છેઃ રિવાબા જાડેજા

અમદાવાદ, 8 માર્ચ, 2025: સૌને સમાન હક મળી રહે તે માટે UCC ખૂબ જ જરૂરી છે તેમ ધારાસભ્ય રિવાબા જાડેજા આજે અહીં કહ્યું હતું. તેઓ સમાન નાગરિક ધારો UCC શા માટે? એ વિષય પર આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં.

સીમા જાગરણ મંચ, કર્ણાવતી દ્વારા  “સમાન નાગરિક ધારો શા માટે?  “Why Uniform Civil Code” વિષય પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં “યુનિફોર્મ સિવિલ કોડ” તેના મહત્ત્વ અને ભારતના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં સામાજિક અને ન્યાયિક એકતા માટે તેની આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ જામનગરના ધારાસભ્ય માનનીય શ્રીમતી રિવાબા જાડેજાએ આ અવસરે જણાવ્યું હતું કે “સમાજમાં લોકોને સમાન જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે તેનું રક્ષણ આપણા બંધારણ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ જુદા જુદા ધર્મ પ્રમાણે પણ અમુક કાનૂન ચાલી રહ્યા છે ત્યારે સૌને સમાન હક મળી રહે તે માટે UCC ખૂબ જ જરૂરી છે.”

સીમા જાગરણ મંચ રાષ્ટ્રીય આંતરિક સુરક્ષા માટે પરોક્ષ રીતે બળ પૂરું પાડી રહ્યું છે. UCCથી દરેક નાગરિકને સમાન જીવન જીવવાની તકો મળશે જેને આપણે સૌએ વધાવવું જોઈએ અને લોકો સુધી લઇ જવું જોઈએ. UCC મહિલાઓના હકો છીનવવા માટે નહિ પણ મહિલાઓને હકો અપાવવા માટે છે.

UCC સેમિનાર HDNews
UCC સેમિનાર HDNews

કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. વિક્રમભાઈ દેસાઈએ પોતાના પ્રવચનમાં સમાન નાગરિક ધારાના તમામ પાસાઓ ઉપર વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, UCC એક બંધારણીય વચન છે. આર્ટીકલ-44 મુન્શીથી મોદી સુધી જોડાયેલો છે. UCCનો મુસદ્દો તૈયાર કરનાર કનૈયાલાલ મુન્શી ગુજરાતી હતા અને UCCનો અમલ કરાવનાર મોદીજી પણ ગુજરાતી છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ કાયદાનો સૌથી વધુ પ્રભાવ મહિલાઓના જીવન પર પડશે, મહિલાઓનું શોષણ થતું અટકશે, મહિલાઓને છૂટાછેડા જેવી સ્થિતિમાં પતિની સંપતિમાં હક મળશે, સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર સમગ્ર દેશમાં અને તમામ ધર્મોમાં એક સમાન બનશે – આટલા ક્રાંતિકારી પરિવર્તનો આ કાયદાથી આવશે.

આ સાથે તેમણે વિવિધ ધર્મોના પર્સનલ લો અને તેની મર્યાદાઓ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. ડૉ. દેસાઈએ કહ્યું કે, દેશના ન્યાયતંત્રના કાર્યભારણમાં ઘટાડો થશે, લીવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે નોંધણી ફરજીયાત બનશે, આવા સંબંધોથી જન્મેલાં બાળકોની જવાબદારી સુનિશ્ચિત થશે અને તેમને તેમના હકો આસાનીથી મળી રહેશે. UCC કાયદો બંધારણીય છે જે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી.

UCC સેમિનાર HDNews
UCC સેમિનાર HDNews

સીમા જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજક માનનીય મુરલીધરજીએ પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે ભારતીય માનવ સમાજની ગંદગી અને પીડા દૂર કરવા તેમજ સામાજિક સ્વચ્છતા માટે UCC ખૂબ જ જરૂરી છે. UCCના અમલથી ન્યાયપ્રક્રિયા સરળ અને સટીક બનશે, સમાજને અનુશાસિત બનાવવામાં પણ UCC મહત્ત્વની ભૂમિકા ભજવશે, સમાજને સ્વસ્થ, રાષ્ટ્રને એકાત્મકતા અને સામાજિક પ્રગતિમાં પણ UCC મહત્વનો ભાગ ભજવે છે.

સીમા જાગરણ મંચના અધ્યક્ષશ્રી ડૉ. જયંતીભાઈ ભાડેશીયાએ પણ પ્રસંગોપાત ઉદ્દબોધન કર્યું હતું અને સમાજના મોટા વર્ગ સુધી વિષયને લઇ જવા આવાહન કર્યું હતું. કાર્યક્રમમાં સંગઠનના સંયોજક જીવણભાઈ આહિર, પ્રાંત તથા મહાનગર કાર્યકારીણીના સદસ્યો, શિક્ષકો, ડૉક્ટરો, વકીલો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે મહાનગરના મંત્રી ડૉ. દિલીપસિંહ સોઢાએ સૌનો આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ વડાપ્રધાનના હસ્તે રાજ્યની સ્વસહાય જૂથોની ૨.૫ લાખ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button