આત્મનિર્ભર અને સશક્ત મહિલાઓ: ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની લખપતિ દીદી

ગાંધીનગર, 8 માર્ચ 2025 : “સખીમંડળના લીધે અમને જીવવા માટે ઓક્સિજન મળ્યું,” આ શબ્દો છે બનાસકાંઠાના અલવાડાના રહેવાસી રમીલાબેન મુકેશભાઈ જોશીના, જેમણે 2024માં દીવાની દિવેટ બનાવવાની કામગીરી શરૂ કરીને માત્ર એક વર્ષમાં ₹ 1 લાખથી વધુની આવક મેળવી છે. દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. અત્યારે રાજ્યમાં 1 લાખ 50 હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’ બની છે. આજે 8મી માર્ચે મહિલા દિવસ International Women’s Day નિમિત્તે આ વિશે ગૌરવપૂર્વક વાત કરી શકાય તેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024માં કહ્યું હતું કે, “લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે.” સમગ્ર દેશમાં 3 કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સામે ગુજરાત 10 લાખ લખપતિ દીદીના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે.
કઈ રીતે કામ કરે છે લખપતિ દીદી યોજના?
આ યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક એક લાખથી વધુ થઇ શકે. મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે. તેના માટે સરકાર દ્વારા તાલીમ, આર્થિક સહાય અને બજાર સાથે જોડાણની સુવિધા આપવામાં આવે છે જેથી તેમની આવકમાં વધારો થઇ શકે.
• કૃષિ અને સંલગ્ન વ્યવસાયની વર્ષ દરમિયાનની કુલ આવક.
• નોન ફાર્મ એક્ટિવિટી જેવીકે મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ, સર્વિસીઝ વગેરેની આવક.
• પરિવારમાં કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય તો તેની આવક.
• ફાર્મ તથા નોન –ફાર્મ વ્યવસાયમાં મજૂરી કામથી મળતી આવક.
• સરકારના યોજનાકીય લાભ દ્વારા મળેલ રકમ.
• કમિશન,માનદ વેતનથી પ્રાપ્ત આવક.
ગુજરાતમાં 7.9 લાખથી વધુ મહિલાઓની નોંધણી
ગુજરાતમાં 7,98,333 મહિલાઓની આ યોજના અંતર્ગત નોંધણી કરવામાં આવી છે. તેમાંથી 7,66,743 મહિલાઓ કૃષિ આધારિત રોજગારમાં સંકળાયેલી છે અને અન્ય મહિલા બિન-કૃષિ ક્ષેત્રો જેવા કે હસ્તકળા, ઉત્પાદન, સેવાઓ અને અન્ય નાના વ્યવસાયોમાંથી આવક મેળવી રહી છે.
આદિજાતિ જિલ્લાઓમાં 30 હજારથી વધુ લખપતિ દીદી
ગુજરાતમાં આ યોજનાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ તેમના કૌશલ્યથી આગળ વધી રહી છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 1,06,823 મહિલાઓની ઓળખ કરવામાં આવી છે અને 30,527 મહિલાઓની આવક એક લાખથી વધુ થઇ ગઇ છે.
તાપીમાં વનશ્રી રેસ્ટોરન્ટનું ટર્નઓવર ₹ 41 લાખને પાર
તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના કરંજવેલ ગામમાં રમીલાબેન પરષોત્તમભાઈ ગામિત દ્વારા દસ સખીમંડળની બહેનો સાથે વનશ્રી રેસ્ટોરન્ટનું સંચાલન કરવામાં આવે છે. સરકાર દ્વારા તેમને રેસ્ટોરન્ટ માટે જગ્યા અને સાધનસામગ્રી આપવામાં આવી હતી. રમીલાબેનના જણાવ્યા અનુસાર, “અમે ચાર વર્ષથી આ રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ અને અમને કરિયાણું અને અન્ય જરૂરી સામાન માટે ₹ 50 હજારની લોન મળી હતી. અત્યાર સુધીમાં અમે તે લોનની ભરપાઈ પણ કરી દીધી છે. પરંપરાગત આદિવાસી વાનગીઓ અમે જમાડીએ છીએ અને દર મહિને સાડા ત્રણથી ચાર લાખની આવક થાય છે. વર્ષ 2023માં અમારું ટર્નઓવર 40 લાખ હતું જે 2024માં 41 લાખ 88 હજાર જેટલું થઇ ગયું છે. આ કામગીરી માટે અમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આવક વધવાથી અમારા પરિવારને ઘણો ફાયદો થયો છે.”
124 માસ્ટર ટ્રેનર્સ દ્વારા 10 હજારથી વધુ લોકોને તાલીમ
આ યોજનાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે અમુક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવી છે જેમણે અત્યાર સુધી 10 હજારથી વધુ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપી છે. આ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને સહયોગ આપશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ડિજીટલ આજીવિકા રજીસ્ટર પર ડેટા અપડેટ કરવામાં આવે છે, જે દેખરેખની સાથે મહિલા સાહસિકોને તાલીમ, નાણાકીય સહયોગ અને માર્કેટ જોડાણ આપવામાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચો..સ્ત્રી એટલે રિહર્સલ વગર દરેક ભૂમિકા નિભાવતું ઈશ્વરનું અદભુત સર્જનઃ મંત્રી ભાનુબેન બાબરીયા
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD