ઔરંગઝેબના વખાણ કરવા ભારે પડ્યા, સપા નેતા અબૂ આઝમી પર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

મુંબઈ, 04 માર્ચ 2025: મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબૂ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવા ભારે પડશે. શિવસેનાએ અબૂ આઝમી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અહીં ઉલ્લેખનિય છે કે, આ અગાઉ શિવસેના પ્રમુખ અને રાજ્યના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ અબૂ આઝમી પર દેશદ્રોહનો કેસ નોંધવાની માગ કરી હતી. આવો જાણીએ અબૂ આઝમીએ શું કહ્યું હતું અને પોલીસે તેમના પર કઈ કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે.
શિવસેનાએ ફરિયાદ નોંધાવી
ઔરંગઝેબના વખાણ કરવાને કારણે મહારાષ્ટ્ર સપા પ્રમુખ અબુ આઝમીની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિવસેના (શિંદે) એ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શિવસેનાના પ્રવક્તા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કિરણ પાવસ્કર કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. અબુ આઝમી સામે રાજદ્રોહનો કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે.
આ કલમો હેઠળ કેસ નોંધાયો
આ ઉપરાંત, શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેની ફરિયાદના આધારે થાણેના વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં અબુ આઝમી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સપા ધારાસભ્ય અબુ આઝમીની મુશ્કેલીઓ વધવાની છે. પોલીસે આઝમી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 299, 302 અને 356 હેઠળ કેસ નોંધ્યો છે.
અબુ આઝમીએ શું કહ્યું?
અહીં ઉલ્લેખનિય છે કે અબુ આઝમી મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ છે. સોમવારે તેમણે કહ્યું, “ખોટો ઈતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણા મંદિરો બનાવ્યા છે. ઔરંગઝેબ ક્રૂર શાસક નહોતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેમના સેનાપતિએ બનારસમાં એક પંડિતની પુત્રી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઔરંગઝેબે તેને બે હાથીઓ વચ્ચે બાંધી દીધો અને તેને મારી નાખ્યો હતો. બાદમાં, તે પંડિતોએ ઔરંગઝેબ માટે એક મસ્જિદ બનાવી અને તેમને ભેટ આપી. તે એક સારા વહીવટકર્તા હતા, તેમણે જે કંઈ કર્યું તે સાચું હતું. જો તે કોઈ અન્ય રાજા હોત, તો તેમણે પણ એવું જ કર્યું હોત.” અબુ આઝમીએ એમ પણ કહ્યું હતું કે- “ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન, ભારતનો GDP 24% હતો અને દેશ “સોને કી ચિડીયા” હતો. ઔરંગઝેબ તેમના માટે ખોટા નહોતો. તેમણે ઘણા મંદિરો પણ બનાવ્યા. ઇતિહાસમાં ઘણી ખોટી વાતો કહેવામાં આવી છે.”
આ પણ વાંચો: અંધ લોકો પણ બની શકે છે જજ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય; 31 વર્ષ જૂનો નિયમ રદ