ટ્રેન્ડિંગનેશનલ

એક અનોખી દુલ્હનની કહાની: બે વર્ષમાં ત્રણ વાર અપહરણ થઈ, સાસરિયે પહોંચે તે પહેલા થઈ જાય છે ગાયબ

અશોકનગર, 03 માર્ચ 2025: મધ્ય પ્રદેશના અશોકનગરમાં એક દુલ્હન ત્રીજી વાર અપહરણ થઈ ગઈ. આ ઘટના NH-46 પર બની હતી. દુલ્હન પોતાના લગ્ન બાદ રાજસ્થાન જઈ રહી હતી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે અને દુલ્હનને પકડી લીધી છે. આ ઘટના પ્રેમ પ્રસંગ સાથે જોડાયેલી હોવાનું લાગી રહ્યું છે. દુલ્હનના પરિવારના લોકો પણ આઘાતમાં છે અને દુલ્હનની માતાની તબિયત ખરાબ થઈ ગઈ છે.

રાજસ્થાનમાં થયા હતા લગ્ન

હકીકતમાં જોઈએ તો, અશોકનગરના છૈહરા વિસ્તારમાં રહેતી એક 19 વર્ષિય છોકરીના લગ્ન રવિવારે રાજસ્થાનના સવાઈ માધોપુરના વિક્રમ સિંહ નાયક સાથે થયા હતા. જાન મોડી રાતે ત્રણ વાગે પહોંચી અને તમામ વિધિઓ પુરી કરી. સવારે સાડા આઠ વાગ્યે વિદાય બાદ જાન ગુના જિલ્લાના દેહરી ગામ નજીક NH-46 પર પહોંચી. ત્યારે અમુક બદમાશોએ વરરાજાની ગાડી પર હુમલો કરી દુલ્હનનું અપહરણ કરીને લઈ ગયા. આ ઘટના કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી લાગે છે. ગુના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને દુલ્હન પણ મુક્ત કરાવી છે.

બે વર્ષમાં ત્રણ વાર અપહરણ થઈ

નવાઈની વાત એ છે કે, આ દુલ્હન છેલ્લા બે વર્ષમાં આવી જ રીતે ત્રીજી વાર અપહરણ થઈ છે. પહેલી વાર માર્ચમાં અપહરણ થઈ હતી, તેમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ પર કલમ 363, POCSO એક્ટ અંતર્ગત ગુનો નોંધી લેવામાં આવ્યો હતો. જો કે બાદમાં આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. બીજુ અપહરણ 20 જૂન 2023ના રોજ થયું હતું. તેમાં અભિષેક અહિરવાર નામના વ્યક્તિ પર છોકરીને લલચાવીને લઈ જવાનો આરોપ લાગ્યો હતો. તેના વિરુદ્ધ 363, POCSO એક્ટ અને ધારા 376 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. અભિષેક હાલમાં ફરાર છે અને તેના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યૂ થયેલું છે.

દુલ્હન આરોપીને ઓળખી રહી હતી

આ ત્રીજા અપહરણ દરમિયાન, જ્યારે ગુંડાઓ વરરાજા પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે કન્યાએ એક આરોપીને “આકાશ” નામથી બોલાવ્યો અને તેને કહ્યું કે તેને ન મારે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે દુલ્હન આરોપીને પહેલાથી જ જાણતી હતી અને આ કેસ પ્રેમ સંબંધ સાથે સંબંધિત હોઈ શકે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આખો મામલો સામે આવે તેવી અપેક્ષા છે. એવી પણ શક્યતા છે કે અગાઉના કેસોમાં સંડોવાયેલા આરોપીઓ આ કેસમાં પણ સંડોવાયેલા હોઈ શકે છે.

માતાની તબિયત બગડી ગઈ

આ ઘટના બાદ દુલ્હનના ઘરમાં શોકનું વાતાવરણ છે. જ્યાં થોડા કલાકો પહેલા સુધી લગ્નની ઉજવણી ચાલી રહી હતી, ત્યાં હવે શાંતિ છે. ઘરની બહાર સામાન વેરવિખેર પડ્યો છે અને પરિવારના સભ્યો આઘાતમાં છે. આ ઘટના બાદ દુલ્હનની માતાની તબિયત પણ બગડી ગઈ છે. વરરાજા પક્ષ પણ ગભરાઈ ગયો છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: અયોધ્યા: રામ મંદિરના એન્ટ્રી ગેટ પર લાખોની સંખ્યામાં બૂટ ચપ્પલનો ઢગલો થયો, આ નિયમના કારણે કોઈ લેવા આવતું નથી

Back to top button