અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્ય અંગે રાજ્ય સરકારની અગત્યની સ્પષ્ટતા


- વન્યજીવ અભયારણ્યની હદથી એક કિ.મી. ત્રિજ્યામાં માઈનિંગ પર રાજ્ય વ્યાપી પ્રતિબંધ
HD ન્યુઝ ડેસ્ક, 24 ફેબ્રુઆરી: ૨૦૨૫: અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ 2019થી રાજ્ય સરકાર દ્વારા એક પણ લિઝને મંજૂરી આપવામાં આવી નથી. ગુજરાતમાં કેન્દ્ર સરકારની નીતિ મુજબ વન્યજીવ અભયારણ્યની એક કિ.મી.ની ત્રિજ્યામાં માઈનિંગની કામગીરી માટે મંજૂરી આપવામાં આવતી નથી,જેથી છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંબાજી-બાલારામ અભયારણ્યની આસપાસ પ્રતિબંધ અંતર્ગત આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કે ભંગ થયો નથી તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની જણાવ્યું હતું.
રાજ્ય મંત્રી મુકેશ પટેલે ગૃહમાં વધુ વિગત આપતા કહ્યું હતું કે,બાલારામ વન્યજીવ અભયારણ્ય હેઠળ ઈકો સેન્સિટીવ ઝોનમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના પાંચ તાલુકાના અંદાજે 133 ગામનો સમાવેશ થાય છે. આ ઈકો સેન્સિટીવ ઝોનમાં રહેતા ખેડૂતો ખેતી માટે કૂવો ખોદી શકે,વીજ જોડાણ લઈ શકે, હયાત રસ્તાનું સમારકામ,પશુ પાલન માટે તબેલો, ઘર, કમ્પાઉન્ડ વોલ, આ વિસ્તારમાં દવાખાનું, આંગણવાડી શાળા, ખેતી કરવા વિવિધ પાક,જૈવિક ખેતી, કુટીર ઉદ્યોગ, સોલાર પેનલ, કૌશલ્ય વિકાસ તેમજ પર્યાવરણ જાગૃતિ જેવી પ્રવૃત્તિ કરી શકાય છે.
મંત્રીએ કહ્યું હતું કે, હોટલ વ્યવસાય, વૃક્ષ કાપવા, ઉદ્યોગો સ્થાપવા, કેબલ નાખવું, રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, રાત્રિના સમયે ખેતીના ઉપયોગ સિવાય વાહન ચલાવવું, ઘન કચરો અને પ્લાસ્ટિકનો નિકાલ તેમજ હેલિકોપ્ટરનો ઉપયોગ વગેરે પ્રવૃત્તિઓ માટે ફરજિયાત મંજૂરી લેવાની હોય છે. મંત્રીએ ગૃહમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પર્યાવરણ અને વન્યજીવના હિતમાં આ વિસ્તારમાં માઈનિંગ પ્રવૃત્તિ માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી.
આ પણ વાંચો…PM મોદીએ બાગેશ્વર ધામમાં બાલાજી મંદિરમાં પૂજા કરી: કેન્સર હોસ્પિટલનો કર્યો શિલાન્યાસ