સખત મહેનત કરનાર કોઈપણ સપનાં સાકાર કરી શકે છેઃ ગૌતમ અદાણી

અમદાવાદ, 20 જાન્યુઆરી, 2025: સખત મહેનત કરનાર કોઇપણ વ્યક્તિ સપનાં સાકાર કરી શકે છે કેમ કે સ્વપ્ન જોવાં એ માત્ર ધનિકોનો વિશેષાધિકાર નથી તેમ ગૌતમ અદાણીએ આજે અહીં જણાવ્યું હતું.
દેશ અને દુનિયાના ટોચના ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે સોમવારે અદાણી ઈન્ટરનેશલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો સહિત અન્ય અગ્રણીઓને સંબોધન કરી રહ્યા હતા. આ સંબોધનમાં તેમણે સફળતા મેળવવા માટે સ્વપ્નની તાકાત, સખત મહેનત તથા મક્કમ મનોબળના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો હતો.
ANI સમાચાર સંસ્થાના એક અહેવાલ અનુસાર, પોતાના પ્રારંભિક દિવસોને યાદ કરતા તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, એ સમયે તેમની પાસે કોઈ નક્કર આયોજન, નાણાકીય સ્રોતો કે પછી વગદાર સંપર્કો નહોતા, પરંતુ જે કંઈ હતું તે- જીવનમાં કંઈક અર્થપૂર્ણ કરવા માટેનું સ્વપ્ન હતું. “હું રોજેરોજ આ સ્વપ્ન જોતો. અને હવે જ્યારે મારા ભૂતકાળ પર નજર કરું છું ત્યારે હું કહી શકું છું કે સ્વપ્નો ઉપર ધનિકોનો ઈજારો નથી, સ્વપ્ન જોવાં એ ધનિકોનો વિશેષાધિકાર નથી. એવા તમામ લોકો સ્વપ્ન સાકાર કરી શકે છે જેમને પોતાનામાં આત્મવિશ્વાસ હોય અને સખત મહેનત કરવા તૈયાર હોય” તેમ અદાણી જૂથના ચેરમેને કહ્યું હતું.
તેમની કંપની ભારતની સૌથી ઝડપી પ્રગતિ કરતી કંપની છે એ વાતનો ઉલ્લેખ કરીને ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમની કંપનીનું ધ્યેય માત્ર બિઝનેસ કરવા કરતાં કંઇક વિશેષ છે. “અમે જે કોઈ નિર્ણય લઈએ છીએ, જે કોઈ જોખમ ઉઠાવીએ છીએ તેની પાછળ એક ધ્યેય હોય છે, કે અમે એવું શું સર્જન કરીએ જે વધુ શ્રેષ્ઠ રીતે સેવા કરી શકે? અમે અમારાં સ્વપ્નને પાંખો આપવાની હિંમત, વધુ ઊંચે ઉડવાની તૈયારી તથા અન્ય કોઇપણ કરતાં વધુ ઝડપે આગળ વધવાની તૈયારી રાખીએ છીએ” તેમ તેમણે જણાવ્યું હતું.
દેશ અને દુનિયાના ટોચના ઉદ્યોગપતિમાં સ્થાન પામનાર અદાણીએ વિદ્યાર્થીઓને મોટાં સ્વપ્ન જોવાની હિંમત રાખવા તથા પડકારોનો સામનો કરવાની મક્કમતા રાખવા વિનંતી કરી હતી.
નિષ્ફળતાની અનિવાર્યતા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, નિષ્ફળતા તો મળશે તથા પીછેહઠ તમારી પરીક્ષા કરશે પરંતુ એટલું યાદ રાખજો કે, નિષ્ફળતા એ સફળતાની વિરોધી બાબત નથી, એ તો સફળતાનો સૌથી અગત્યનો સાથીદાર છે. સામાન્ય અને અસામાન્ય સફળતા વચ્ચે માત્ર મક્કમ મનોબળ તથા પ્રત્યેક પછડાટ પછી ઊભા થવાની હિંમતનો તફાવત છે.
ગૌતમ અદાણીએ વાલીઓને પણ જણાવ્યું કે તેમણે તેમનાં બાળકોનાં મજબૂત મૂલ્યો સ્થાપિત કરવા જોઇએ. તમારાં બાળકો માત્ર તમારી સંપત્તિ નહીં પણ તમારાં મૂલ્યો પણ ગ્રહણ કરતાં હોય છે. તેમને મક્કમતા, ધૈર્ય, કરુણા તથા બીજા લોકોની સેવા કરવાના ગુણ આપો.
તેમણે ઉમેર્યું કે, સફળતા એ વ્યક્તિગત સિદ્ધિ માત્ર નથી પરંતુ તેના દ્વારા અન્ય લોકો માટે વધુ સારી દુનિયા બનાવવાની હોય છે. તેમને એવી રીતે શિક્ષિત કરો કે તેઓ જ્યાં પણ જાય – ભારતમાં રહે કે વિદેશમાં જાય તો પણ ભારતનો આત્મા તેમની સાથે હંમેશાં રહે.
આ પણ વાંચોઃ અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ “હીરો” બન્યાઃ જાણો સુરત કનેક્શન VIDEO
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD