ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પ્રમુખ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પરિવાર પણ મોસ્કોમાં; પુતિને રાજકીય આશ્રય આપ્યો

  • બળવાખોરો દ્વારા સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરવામાં આવતા જ અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો

નવી દિલ્હી, 9 ડિસેમ્બર: સીરિયામાં પ્રમુખ બશર અલ-અસદના શાસનનો સત્તાપલટો થઈ ગયો છે. બળવાખોરો દ્વારા સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરવામાં આવતા જ અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો અને તે પણ માત્ર થોડા કલાકોમાં જ. પ્રમુખ અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે અને પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા તેમને રાજકીય આશ્રય આપવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર, સીરિયાના પદભ્રષ્ટ પ્રમુખ બશર અલ-અસદ તેમના પરિવાર સાથે મોસ્કો પહોંચી ગયા છે અને તેમને આશ્રય આપવામાં આવ્યો છે.

રશિયન સમાચાર એજન્સીઓ ‘તાસ’ અને આરઆઈએ, ક્રેમલિનના પ્રમુખ કાર્યાલયના એક અનામી સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અસદ અને તેના પરિવારને મોસ્કોમાં આશ્રય આપવામાં આવ્યો છે. ક્રેમલિનના એક અજ્ઞાત સ્ત્રોતને ટાંકીને, આરઆઈએના અહેવાલે એમ પણ કહ્યું કે રશિયાને સીરિયામાં રશિયન લશ્કરી ઠેકાણા અને રાજદ્વારી કચેરીઓની સુરક્ષા અંગે સીરિયન બળવાખોરો પાસેથી બાંયધરી મળી છે. જો કે અહેવાલમાં વિગતવાર માહિતી આપવામાં આવી નથી. અસદ રવિવારે વહેલી સવારે સીરિયા છોડી ગયા હતા.

બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો

સીરિયામાં છેલ્લા 11 દિવસથી બળવાખોર ગ્રુપો અને સેના વચ્ચે કબજો મેળવવાની લડાઈ ચાલી રહી હતી, જ્યાં રવિવારે બળવાખોર લડવૈયાઓએ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો હતો, ત્યારબાદ દરેક લોકો રસ્તાઓ પર ફાયરિંગ કરીને વિજયની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ઉજવણી કરતી ભીડ દમાસ્કસના ચોક પર એકત્ર થઈ હતી અને સીરિયન ક્રાંતિકારી ધ્વજ લહેરાવ્યો હતો, જે અરબ સ્પ્રિંગ બળવાના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. અસદ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ માહિતી ન આવ્યા પછી, ઘણા લોકોએ પ્રમુખ ભવન અને અસદ પરિવારના નિવાસસ્થાનમાં તોડફોડ કરી.

MEAએ એડવાઈઝરી જારી કરી

બીજી તરફ સીરિયામાં ચાલી રહેલા હંગામા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે. સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને પણ સાવચેતી રાખવા અપીલ કરી છે.

અસદ 2000માં સત્તામાં આવ્યા હતા

અસદ 2000માં સત્તામાં આવ્યા હતા. તેમના પિતા બશરના સૌથી મોટા ભાઈ, બાસિલ અલ-અસદને તેના અનુગામી તરીકે નામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ 1994માં દમાસ્કસમાં એક કાર અકસ્માતમાં બેસિલનું મૃત્યુ થયું હતું. બશર અલ-અસદ પર 2013માં રાજધાનીની બહારના વિસ્તારમાં રાસાયણિક હથિયારોના હુમલા સહિત ગૃહ યુદ્ધ દરમિયાન યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ છે. રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે કહ્યું કે, તેઓ “સીરિયાના લોકો માટે દિલગીર છે.” રશિયા અસદનું મુખ્ય સમર્થક છે.

આ હુમલો 27 નવેમ્બરે શરૂ થયો હતો

સીરિયામાં બળવાખોરો દ્વારા આક્રમણ 27 નવેમ્બરના રોજ શરૂ થયું જ્યારે બંદૂકધારીઓએ સીરિયાના સૌથી મોટા ઉત્તરીય શહેર અલેપ્પો અને દેશના ચોથા નંબરના સૌથી મોટા શહેર હમા પર કબજો કર્યો. રવિવારે અસદની સરકારના પતનથી સત્તા પર રહેવા માટેના તેમના લગભગ 14 વર્ષના સંઘર્ષનો નાટકીય અંત આવ્યો. સીરિયાના ગૃહ યુદ્ધમાં લગભગ અડધા મિલિયન લોકો માર્યા ગયા છે અને દેશની અડધી વસ્તી વિસ્થાપિત થઈ છે. બળવો ગૃહયુદ્ધમાં ફેરવાઈ જતાં લાખો સીરિયનો સરહદ પાર જોર્ડન, તુર્કી, ઈરાક અને લેબનોન અને યુરોપ તરફ ભાગી ગયા.

આ પણ જૂઓ: મહારાષ્ટ્ર વક્ફ બોર્ડનો ખેડૂતોની 300 એકર જમીન પર દાવો, 100થી વધુ લોકોને ફટકારી નોટિસ

Back to top button