ટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાન/ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ સુરક્ષા ચોકી પર હુમલો કર્યો, 10 જવાન શહીદ થયા

Text To Speech

પાકિસ્તાન, 25 ઓકટોબર :   પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની એક પોસ્ટ પર હુમલો કર્યો છે. આતંકીઓના આ હુમલામાં 10 જવાનો શહીદ થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. અધિકારીઓએ શુક્રવારે આ અંગેની માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ તમામ સૈનિકો ગુરુવારે ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દારાબન વિસ્તારમાં એક ચેક પોસ્ટ પર થયેલા હુમલા બાદ થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલા બાદ તરત જ સૈનિકોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોરોને પકડવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે હુમલામાં 10 સૈનિકોના જીવ ગયા. હજુ સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.

પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ વધી
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) આ વિસ્તારમાં સક્રિય છે અને આવા અનેક હુમલાઓમાં સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સતત ટીટીપી પર અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનોથી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. 2021માં કાબુલમાં તાલિબાનની સરકાર બની ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓ વધી છે.

પંજાબમાં TTP આતંકવાદીઓ માર્યા ગયા
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની પોલીસે જણાવ્યું હતું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, ત્યારબાદ કાયદા અમલીકરણ એજન્સીઓએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.

આ પણ વાંચો : સોમનાથ મંદિરની જમીન ઉપર મુસ્લિમ પક્ષનો દાવો ગુજરાત સરકારે ફગાવ્યોઃ સુપ્રીમમાં સુનાવણી ચાલુ

Back to top button