ગુજરાતટ્રેન્ડિંગ

‘સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ’ હેઠળ લાભાર્થીઓને સહાય ચૂકવાઈ

Text To Speech
  • વધુ ૩૧ લાભાર્થીઓને રૂ.૧૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
  • કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે સહાય હુકમ એનાયત કરાયા

ગાંધીનગર, 16 ઓક્ટોબર : ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧)” હેઠળ નોંધાયેલા વધુ ૩૧ કૃષિ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૧૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. કૃષિ મંત્રી સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર ડી. એચ. શાહ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેટલાક લાભાર્થી ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કૃષિ મંત્રીએ પણ તેમની સાથે યોજના સંદર્ભે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ થકી નાગરિકોને ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા ઉપરાંત આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડી રોકાણ, વ્યાજ સહાય જેવા જુદા-જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે. જે પૈકી મૂડી સહાય માન્ય સ્થાયી મૂડીરોકાણના ૨૫ ટકા અને બેંકની મુદતી લોન પર ૭.૫ ટકા વ્યાજ સહાયની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૨૦૦ કરોડની બજેટ જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (CSR) અંતર્ગત ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ને આપવામાં આવેલી હોમ કેર વિઝિટ વાનને કૃષિ મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. CSR હેઠળ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા GCRIને હોમ કેર વાન તેમજ ૬ સ્લાઇડ કેબીનેટની ખરીદી માટે રૂ. ૨૧.૯૦ લાખનું ફંડ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :- સુપ્રીમ કોર્ટમાં લેડી ઓફ જસ્ટિસનું નવું સ્ટેચ્યુ: વિચાર ન કર્યા હોય એવા ફેરફાર થયા, જૂઓ વીડિયો

Back to top button