અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદઃ બોગસ પત્રકારોએ ન્યૂઝ વાયરલ નહીં કરવાના બદલામાં માગી આટલા લાખની ખંડણી

અમદાવાદ, 9 ઓકટોબર, ઘણીવાર આપણે કોઈક રીતે વિવાદમાં પડી જતા હોઈએ છે ત્યારે પૈસા બાબતનો વિવાદ હોય કે અન્ય કોઈક રીતે. અમુક વખત લોકો અલગ અલગ ધમકી આપે છે. ત્યારે આવી પરિસ્થિતીમાં વ્યક્તિએ શું કરવુ તે સમજાતુ નથી અને જગ્યા કે શહેર છોડીને ભાગી જવાની તૈયારીઓ કરે છે. અને ઘણા લોકો ધમકી આપી પૈસા પડાવી લેતા હોય છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના જુહાપુરામાં વિસ્તારમાં રહેતા બિલ્ડરને તેના ભાઇ વિરૂદ્ધ થયેલા કેસમાં સંડોવણી હોવાનું કહ્યું હતું. તેના ન્યુઝ યુ ટયુબ ચેનલ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. 75 હજારની માંગણી કર્યા બાદ તેના સાગરિતો સાથે મળીને વધુ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી કંટાળીને સમગ્ર મામલે વેજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે વેજલપુર પોલીસે ઓજેફ તિરમીજી, આબેદા શેખ અને સાબિર હૂસૈન શેખ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. વેજલપુર પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી.

અમદાવાદ શહેરના જુહાપુરા છીપા સોસાયટીમાં રહેતા મોહંમદ શોએબ શેખ બિલ્ડીંગ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેના ભાઇ મોહંમદ ઇસ્માઇલ શેખ સામે આર્થિક ગુના નિવારણ શાખા સહિત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે હાલ તેના સાગરિતો સાથે સાબરમતી જેલમાં છે. મોહંમદશોએબ અને તેના પરિવારને મોહંમદ ઇસ્માઇલ સાથે સંબધ નથી. ગત 25મી મે ના રોજ મોહંમદ શોએબને અજાણ્યા નંબર પરથી ઉજેફ તિરમીજી નામના વ્યક્તિએ વોટ્સએપ કોલ કર્યો હતો અને પોતાનો પરિચય પાવર ઓફ ટ્રુથ નામના યુ ટયુબ ચેનલના પત્રકાર તરીકે આપીને કહ્યું હતું કે તમારા ભાઇ મોહંમદ ઇસ્માઇલ શેખ વિરૂદ્ધના કેસમાં તમારા પરિવારની મહિલાની સંડોવણી છે. આ સમાચાર અમે પ્રસિદ્ધ ન કરીએ તે માટે પતાવટ કરવી પડશે તેમ કહીને 75 હજારની માંગણી કરી હતી. જેથી તેમણે બદનામીના ડરથી 75 હજાર રૂપિયા આપી દીધા હતા.

11મી જુલાઇના રોજ ફરીથી અજાણ્યા નંબર પરથી અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. જેમાં તેના ભાઇના કેસમાં પરિવારની સંડોવણીના ન્યુઝ પ્રસિદ્ધ ન કરવા માટે ત્રણ લાખની માંગણી કરી હતી. આ સમયે તિરમીજીએ વોટ્સએપ કોલથી આબેદા પઠાણ અને સાબિર શેખ સાથે કોન્ફરન્સથી વાત કરાવીને ત્રણ લાખ રૂપિયા આપવા જ પડશે નહીતર બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ સતત તેમને ધમકી ભર્યા ફોન કરવામાં આવતા મોહંમદ શોએબે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. યુ ટયુબ પર ન્યુઝ ચેનલ ચલાવતા તત્વોએ અગાઉ પણ અનેક લોકો પાસેથી મોટા પ્રમાણમાં ખંડણી માંગી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે બોગસ પત્રકારોના શિકાર બનેલા લોકોને ફરિયાદ નોંધાવવા માટે જાણ કરી છે.

આ પણ વાંચો…વડોદરાની વિદિશાને 18 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીને કારણે મળ્યું હતું નવજીવનઃ જાણો સમગ્ર મામલો

Back to top button