ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ચૂંટણીપંચને કહીશ કે…’ હરિયાણામાં હાર્યા બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

  • પરિણામો સામે આવતાની સાથે જ કોંગ્રેસની રણનીતિ પર ઉઠવા લાગ્યા પ્રશ્નો 

નવી દિલ્હી, 9 ઓકટોબર: હરિયાણામાં ભાજપે જીતની હેટ્રિક ફટકારી છે અને કોંગ્રેસ પાર્ટી જીતતા જીતતા હારી ગઈ છે. પરિણામો સામે આવતાની સાથે જ કોંગ્રેસની રણનીતિ પર સવાલો ઉઠવા લાગ્યા છે. હરિયાણાની હાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ચૂંટણીના પરિણામો બાદથી રાહુલ ગાંધી ગાયબ હતા. ન તો તેમણે કોઈ નિવેદન આપ્યું કે ન તો તેમણે સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ કર્યું. હવે, હરિયાણામાં પરિણામના લગભગ 24 કલાક બાદ, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આજે તેમણે પોતાનું મૌન તોડ્યું અને હરિયાણાના પરિણામોને અણધાર્યા ગણાવ્યા અને કહ્યું કે, તેઓ અધિકારો, સામાજિક-આર્થિક ન્યાય અને સત્ય માટે સંઘર્ષ ચાલુ રાખશે.

 

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છે. તેમણે પરિણામો માટે સિસ્ટમના દુરુપયોગની નેરેટિવનું પુનરાવર્તન પણ કર્યું. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણી પંચને અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે કહેશે.

ઘણી વિધાનસભા બેઠકો પરથી આવી રહી છે ફરિયાદ: રાહુલ ગાંધી

સૌપ્રથમ જમ્મુ અને કાશ્મીર વિશે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર રાહુલ ગાંધીએ લખ્યું કે, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર – રાજ્યમાં ભારતની જીત એ બંધારણની જીત છે, લોકશાહી સ્વાભિમાનની જીત છે.” હરિયાણાની સ્થિતિ વિશે લખ્યું કે, “અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરીશું. હરિયાણાના તમામ લોકોનો તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાગ પરિશ્રમ માટે હૃદયપૂર્વક આભાર. અમે અધિકારો, સામાજિક અને આર્થિક ન્યાય, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.

કોંગ્રેસ જીતતા જીતતા હારી ગઈ

હરિયાણામાં મતદાન બાદ પરિણામો પહેલા એવું લાગી રહ્યું હતું કે, કોંગ્રેસ ચૂંટણી જીતી રહી છે. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે થયું તેનાથી વિપરીત. કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ. મળતી માહિતી મુજબ, કોંગ્રેસની હાર પાછળનું મુખ્ય કારણ પાર્ટીમાં રહેલો જૂથવાદ છે. તે જ સમયે, બેઠકોની વહેંચણીમાં અનિયમિતતા પણ એક કારણ હતું. કોંગ્રેસની કાસ્ટ ફેક્ટરની ગણતરીમાં થયેલી ભૂલને પણ હારનું કારણ માનવામાં આવી રહ્યું છે.

ભાજપને 48 અને કોંગ્રેસને 37 બેઠકો મળી

વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતીને ભાજપ સત્તા જાળવી રાખવા અને સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ બે બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. જનનાયક જનતા પાર્ટી (JJP) અને AAP બંનેને ચૂંટણીમાં કોઈ સફળતા મળી નથી. ભાજપ અને કોંગ્રેસની મત ટકાવારી લગભગ સમાન હતી. ભાજપને 39.94 ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને 39.09 ટકા વોટ મળ્યા.

આ પણ જૂઓ: હરિયાણા ચૂંટણીઃ આ સીટ પર ભાજપના ઉમેદવારની માત્ર 32 મતથી થઈ જીત

Back to top button