ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ભારે ટ્રાફિકથી ખેલૈયાઓની મજા બગાડતા પોલીસ કમિશનરે લીઘો આ નિર્ણય

Text To Speech
  • અગાઉ રાત્રિના 10 વાગ્યા બાદ ભારે વાહનોને એન્ટ્રી આપવામાં આવતી
  • વાહનચાલક કે માલિકો નિયમનો ભંગ કરશે તેમની સામે થશે કાર્યવાહી
  • રાતના 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારેથી અતિભારે વાહનોને પ્રવેશ બંધ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં હાલ નવરાત્રિના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં તમામ માતાજીના ભક્તો ગરબા રમીને માતાજીની આરાધના કરી રહ્યાં છે. જેમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં સાંજે થતા જોરદાર ટ્રાફિકથી ખેલૈયાઓની મજા બગાડી રહી છે.

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

જેમાં ખેલૈયાઓની આ મુશ્કેલીના નિવારણ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક ધોરણે મોટો નિર્ણય લીધો છે. જેમાં સમગ્ર નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. જેમાં અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આ વિશે જાહેરાત કરી છે. નવરાત્રિના નોરતા અડધા પૂર્ણ થઈ ચુક્યા છે. જોકે, આ દરમિયાન શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પોલીસની સુવ્યવસ્થિત વ્યવસ્થા છતાં જોઈએ તેવો પ્રતિસાદ ન મળતાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાતના 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારેથી અતિભારે વાહનોને પ્રવેશ બંધ

દિવસ-રાત વાહનોથી ધમધમતા એસજી હાઇવે પર પણ જાહેરનામાં મુજબ રાતના 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારેથી અતિભારે વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહિ. જેમાં 33 મુસાફરોથી ઓછી કેપેસિટી ધરાવતા વાહનો શહેરમાં અવરજવર કરી શકશે. પરંતુ ભારે વાહન જેવા કે ટ્રેક્ટર, ટોલી અને 33થી વધુ કેપેસિટી ધરાવતા પેસેન્જર વાહનો પર નવરાત્રિ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અગાઉ રાત્રિના 10 વાગ્યા બાદ ભારે વાહનોને એન્ટ્રી આપવામાં આવતી

અગાઉ રાત્રિના 10 વાગ્યા બાદ ભારે વાહનોને એન્ટ્રી આપવામાં આવતી હતી. જેમાં ફેરફાર કરીને આ નિર્ણય લેવાયો છે. જે વાહનચાલક કે માલિકો નિયમનો ભંગ કરશે તેમની સામે પોલીસ ગુનો નોંધી વાહન જમા લઇને વધુ કાર્યવાહી કરશે.

Back to top button