ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું RG કર હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર સાથે થયું હતું સામૂહિક દુષ્કર્મ? CBIની ચાર્જશીટમાં સત્ય બહાર આવ્યું

  • 200થી વધુ પાનાની ચાર્જશીટમાં 200 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે

નવી દિલ્હી, 7 ઓકટોબર: કોલકાતાની RG કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં CBIએ આજે સોમવારે ચાર્જશીટ દાખલ કરી છે. દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 200થી વધુ પાનાની ચાર્જશીટમાં 200 લોકોના નિવેદનો છે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, તે માત્ર દુષ્કર્મ અને હત્યાની વાત કરે છે. ચાર્જશીટમાં ગેંગ રેપનો કોઈ ઉલ્લેખ નથી.

 

અગાઉ જ્યારે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી ત્યારે ઘણી બાબતો બહાર આવી હતી. ઘણા નેતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે, મહિલાના દુષ્કર્મમાં એકથી વધુ લોકો સામેલ હતા. તેને બચાવવા માટે હોસ્પિટલ પ્રશાસન ખોટું બોલ્યું અને ઘટના સમયે સંજય રોય એકલો ન હતો.

RG કર હોસ્પિટલમાં શું થયું?

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર નાઇટ શિફ્ટ દરમિયાન દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી. આરોપી પશ્ચિમ બંગાળ પોલીસનો સ્વયંસેવક હતો, જે હોસ્પિટલમાં આવતો-જતો રહેતો હતો. ઘટનાના દિવસે તે નશાની હાલતમાં હોસ્પિટલમાં આવ્યો હતો. અગાઉ તે રેડ લાઈટ એરિયામાં પણ ગયો હતો. હોસ્પિટલમાં તેણે સેમિનાર હોલમાં દુષ્કર્મ આચર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં જઈને સૂઈ ગયો હતો. CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

જુનિયર ડોકટરોના આમરણાંત ઉપવાસ ચાલુ

મહિલા ડોક્ટરના મૃત્યુ બાદ તેમના સાથીદારો હડતાળ પર બેસી ગયા હતા. દરમિયાન કેટલાક તોફાની તત્વોએ આવીને હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. આ પછી દેશભરના ડોક્ટરો પોતાની સુરક્ષાના ડરથી રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ મામલો શાંત પડ્યો હતો. જો કે હવે જુનિયર ડોકટરો ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. શનિવાર સાંજથી છ જુનિયર ડોકટર આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે અને બાદમાં અન્ય એક ડોકટર પણ તેમની સાથે જોડાયા છે. ‘જોઇન્ટ પ્લેટફોર્મ ફોર ડોક્ટર્સ ઇન વેસ્ટ બંગાલ’ના છ સભ્યો જુનિયર ડૉક્ટરો સાથેની એકતા દર્શાવવા માટે ઉપવાસમાં જોડાવાનું વિચારી રહ્યા છે.

શું છે ડોકટરોની માંગ?

વિરોધ કરી રહેલા ડોકટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મૃત મહિલા ડોકટરને ન્યાય સુનિશ્ચિત કરાવવો એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે  આરોગ્ય સચિવ NS નિગમને તાત્કાલિક હટાવવાની સાથે કથિત વહીવટી બિનકાર્યક્ષમતા માટે જવાબદારી નક્કી કરવા અને વિભાગમાં ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની પણ માંગ કરી છે. તેમની અન્ય માંગણીઓમાં રાજ્યની તમામ હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં સેન્ટ્રલાઈઝ રેફરલ સિસ્ટમ લાવવી, હોસ્પિટલોમાં ડિજિટલ બેડ વેકેન્સી મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવી અને કાર્યસ્થળો પર સીસીટીવી, ઓન-કોલ રૂમ અને શૌચાલય માટે જરૂરી જોગવાઈઓ સુનિશ્ચિત કરવા ટાસ્ક ફોર્સની રચનાનો પણ સમાવેશ થાય છે. તેઓ હોસ્પિટલોમાં પોલીસ સુરક્ષા વધારવા, કાયમી મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી અને ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય સંભાળ કાર્યકરોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની પણ માંગ કરી રહ્યા છે.

આ પણ જૂઓ: પાકિસ્તાનમાં એક છોકરીએ પરિવારના 13 લોકોની હત્યા કરી, હવે રહસ્ય ખુલ્યું

Back to top button