ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટીવિશેષસંવાદનો હેલ્લારો

નડિયાદઃ વાંસળીના સૂરથી 1 લાખથી વધુ અશક્ત-બીમાર ગાયોને સાજી કરવામાં આવીઃ જાણો આ અદ્દભૂત ઘટના વિશે

નડિયાદ; 7 ઓકટોબર, મ્યુઝિક થેરાપીથી સારવાર થઈ શકે એ તો આપણે બધાએ સાંભળ્યું જ છે. પરંતુ આ થેરાપીથી અશક્ત બીમાર ગાયોને પણ સારવાર આપી શકાય છે એ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે. નડિયાદના પિતા-પુત્ર વાંસળીના સૂર રેલાવીને અશક્ત અને બીમાર ગાયોને સારવાર આપે છે. અત્યારે સુધીમાં 1 લાખથી વધુ ગાયોને આ થેરાપીથી સ્વસ્થ કરવામાં આવી છે. નડિયાદના નરેશ ઠક્કર છેલ્લા 25 વર્ષથી વિવિધ ગૌશાળાઓમાં કુદરતી સાંનિધ્યમાં ફરતી ગાયોને વાંસળીના સૂર સંભળાવી તેમનું હિલીંગ કરે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિમાં તેમના પુત્ર કરણ પણ છેલ્લા 8 વર્ષથી જોડાયા છે. પિતા-પુત્રની આ જોડી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ગાયોને વાંસળીના સૂર રેલાવીને હિલીંગ આપી ચૂક્યા છે.

એક અખબારના અહેવાલ મુજબ, નડિયાદના નરેશ અને કરણ ઠક્કરે વાંસળીના અવાજથી 1 લાખથી વધુ બીમાર અને નબળી ગાયોની સફળતાપૂર્વક સારવાર કરી છે. આ અનોખા ઉપચારથી ગાયોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં ચમત્કારિક ફેરફારો થયા છે. દરેક જિલ્લામાં કે દરેક ગૌશાળામાં જવું શક્ય ન હોવાથી હવે હિલીંગ માટેના ખાસ ઓડિયો પણ આ પિતા-પુત્ર તૈયાર કરી રહ્યા છે. આ ઓડિયો આગામી સમયમાં દરેકે દરેક ગૌશાળામાં નિઃશુલ્ક આપવામાં આવશે. અલગ અલગ રાગ અને ટાઈમ ડ્યુરેશનમાં આ હિલીંગ થેરાપી આપવામાં આવે છે અને તેને કારણે અનેક ગાયોને ફાયદો પણ થયો હોવાનું જોવા મળે છે. વૈજ્ઞાનિક ઢબે પણ આ હિલીંગ પદ્ધતિ અસરકારક હોવાનું પુરવાર થયું છે.

આ બાબતે વાત કરતા કરણભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, હિલીંગ માટે અલગ અલગ સૂર અને ડ્યુરેશન હોય છે. મોટાભાગે વૃંદાવની સારંગના સુર રેલાય અને અશક્ત – બીમાર ગાથી રિકવર થતાં મેં જોઈ છે. અમે એક ગૌશાળામાં આ થેરાપી માટે ગયા હતા. જ્યાં એક ગાય અનેક દિવસોથી ઊભી થઈ શકતી ન હતી. અમે વાંસળી વગાડવાનું શરૂ કર્યું એની 10 મી મિનિટે એ ગાયે ઊભા થવાના પ્રયાસો શરુ કર્યા હતા. આ થેરાપી અસરકારક છે. અમે એક કલાકનું એક સેશન આપીએ છીએ. જેમાં ગાય ઓછું દૂધ આપતી હોય કે શારીરિક- માનસિક પીડામાં હોય તો તેને હિલીંગ આપીએ છીએ અને તેનાં પરિણામ અમે અમારી નજર સામે જોયા છે. વાંસળીના સૂરની સાથે સાથે અમારી જે ભાવના હોય છે કે આ સૂર થકી ગૌમાતા સ્વસ્થ થાય તે પણ હિલીંગમાં મહત્વનો ભાગ ભજવે છે.

વાછરડાં અને મોટી-દૂધાળી ગાયો માટે અલગ ઓડિયો તૈયાર કરાશે
દરેક ગૌશાળામાં જવું શક્ય ન હોવાથી હવે હિલીંગ માટેના ખાસ ઓડિયો તૈયાર કરી દરેક ગૌશાળામાં નિ:શુલ્ક અપાશે. હિલીંગ થેરાપી માટે દરેક ગૌશાળામાં પહોંચવું શક્ય નથી. એટલે હવે કરણભાઈ અને તેમના પિતા નરેશભાઈ દ્વારા હિલીંગ થેરાપીના ઓડિયો લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ઓડિયો પણ ત્રણ અલગ અલગ ભાગમાં હશે. જેમાં વાછરડાં માટે અલગ ઓડિયો, મોટી – દુધાળી ગાયો માટે અલગ ઓડિયો તૈયાર કરવામાં આવશે. 1 કલાકના આ ઓડિયો થકી કોઈપણ ગૌશાળામાં ગાયને હિલીંગ થેરાપી આપી શકાશે. આ ઓડિયો કયા સમયે વગાડવો, કેટલા સમય માટે વગાડવો તેની પણ સમજ આપવામાં આવશે. આ ઓડિયો નિશુલ્ક ગૌશાળાઓમાં આપવામાં આવશે, તેમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો…અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત સર્જાયો: 4ના મૃત્યુ અને 25 ઘાયલ

Back to top button