ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

સાસુ-વહુ વચ્ચે મધુર સંબંધ રાખવા હોય તો કદી ન કરશો આ 10 વાત

  • સાસુ-વહુ વચ્ચેના સંબંધો એવા હોય છે કે જેમાં સુમેળ અને પરસ્પર સમજણ ખૂબ જ જરૂરી છે. જો તમારે તમારી વહુ સાથે સારા સંબંધ રાખવા હોય તો આ વાતનું ધ્યાન રાખો

HD ન્યુઝ ડેસ્કઃ સાસુ-વહુ વચ્ચેના સંબંધો એવા હોય છે કે જેમાં સુમેળ અને પરસ્પર સમજણ ખૂબ જ જરૂરી છે. આ સંબંધ પ્રેમ, આદર અને સહકાર પર આધારિત હોવો જોઈએ. જો કે, કેટલીકવાર વાતચીતમાં કેટલીક વસ્તુઓ બને છે જે અજાણતા સંબંધોમાં ખટાશ પેદા કરી શકે છે. અહીં જાણો એવી 10 વાતો જે સાસુએ પોતાની વહુને ક્યારેય ન કહેવી જોઈએ. જો તમારા ઘરે નવી વહુ આવવાની છે તો આ વાતોનું ધ્યાન રાખો અને ભૂલથી પણ આ શબ્દો ના ઉચ્ચારશો.

1. તુ મારી જેમ કામ કરી શકતી નથી

સાસુના આ શબ્દો વહુને અહેસાસ કરાવે છે કે તેમની મહેનત અને કામનું જાણે કોઈ મૂલ્ય જ નથી. તેના પ્રયત્નોની પ્રશંસા કરો, પછી ભલે તે તમારી રીતે કામ ન કરે. દરેક વ્યક્તિની કામ કરવાની રીત અલગ અલગ હોઈ શકે છે.

2. તારે ઘરના કામ શીખવાની જરૂર છે

જો તમે આવી વાત કહેશો તો તમારી પુત્રવધૂને લાગશે કે તેમની ક્ષમતાઓ પર પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. જો તમને લાગે કે અમુક બાબતોમાં સુધારાની જરૂર છે, તો તેને પ્રેમથી અને શાંતિથી શીખવી શકો છો. કોઈ પણ વ્યક્તિને સમય આપવો જરૂરી છે. ધીમે ધીમે તે બધું શીખી જ લેશે.

3. આ તારા માતા-પિતાના ઘરે ચાલતું હશે, પરંતુ અહીં નહીં.

આવી ગેરસમજ કદી ઉભી ન થવા દો. તેનાથી પુત્રવધૂના માતા-પિતાના ઘરનો, રિવાજો કે સંસ્કારોનો અનાદર થાય છે. દરેક પરિવારમાં અલગ-અલગ રીત-રિવાજો હોય છે, તેને આદરપૂર્વક સ્વીકારો અને સંવાદિતા બનાવવાનો પ્રયાસ કરો.

4. તું સારું જમવાનું બનાવતી નથી

કોઈ વ્યક્તિ અલગ ઘરમાંથી આવી છે. તેનો ટેસ્ટ અલગ હોઈ શકે છે. જો તમને તેનું જમવાનું નથી ભાવતું તો તમે બનાવી લો અથવા થોડો સમય આપો. તેને સાથે રહીને શીખવી શકો છો. સાથે મળીને વધુ સારું કામ થઈ શકશે. તમારી શીખવવાની રીત પણ યોગ્ય હોવી જરૂરી છે.

સાસુ-વહુ વચ્ચે મધુર સંબંધ રાખવા હોય તો કદી ન કરશો આ 10 વાત hum dekhenge news

5. તું તારા બાળકોને યોગ્ય રીતે ઉછેરતી નથી

આવા શબ્દોથી પુત્રવધૂનો અનાદર થઈ શકે છે, દરેક વ્યક્તિ પોતાના બાળકનું યોગ્ય રીતે ધ્યાન રાખતી જ હોય છે. તમારા અનુભવો વધારે હોઈ શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈને ઉતારી પાડો. ભગવાન જ્યારે એક સ્ત્રીને માતા બનાવે ત્યારે બાળકના ઉછેરની રીત ઓટોમેટિક શીખવી જ દે છે. દરેકને પોતાના ઉછેર પર ગર્વ હોય છે. તમે તમારા સંતાનોને ઉછેરી લીધા તે ઘણું છે. હવે આપી શકો તો સહયોગ આપો, ન આપી શકો તો વાંધો નહિ, નુકસાન ન કરો, કોઈનો આત્મવિશ્વાસ તોડો નહીં, ટીકા ન કરો. પ્રેમ અને સમર્થન સાથે તમારો અભિપ્રાય આપો.

6. તું મારા દિકરાનું ધ્યાન રાખતી નથી

જો તમે સાસુ છો, તો તમારી વહુને આવું કદી ન કહો. આવું કહેવાથી પુત્રવધૂને લાગશે કે તે તેના પતિની સંભાળ રાખવામાં નિષ્ફળ ગઈ છે. સાસુ-સસરાએ પુત્ર અને વહુની અંગત બાબતોમાં દખલ કરવાનું ટાળવું જોઈએ અને તેમના સંબંધોને સમજવા માટે સમય આપવો જોઈએ. તે પણ કોઈની દિકરી છે. શું તમે તેની સંભાળ તેના માતા-પિતાની જેમ રાખી શકો છો?

7. તું બહું બહાર ફરે છે

આ બાબત એક સ્ત્રીની અંગત સ્પેસમાં દખલ કરે છે. તમે કોઈ સ્ત્રીને તમારા ઘરે લાવ્યા એ વાત તમને એ હક બિલકુલ આપી દેતી નથી કે તમે કોઈની સ્વતંત્રતાને છીનવી લો. તમારી પુત્રવધૂના કામ અથવા બહાર જવા અંગેના નિર્ણયો પર વિશ્વાસ અને તેનું સન્માન કરો.

8. તારે વધારે તૈયાર થવાની કે સાજ શણગાર કરવાની જરૂર નથી

આ બાબત પુત્રવધૂની વ્યક્તિગત પસંદગી અને આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે. દરેક વ્યક્તિની પસંદગીઓ અલગ-અલગ હોય છે. તેને તેની મરજી મુજબ જીવવા દો. તે તમારા હાથનું રમકડું નથી. કોઈ વ્યક્તિ તમારી મરજી મુજબ જીવન ન જીવી શકે.

9. તને તો આ કામ આવડતું જ નથી, તારાથી કંઈ નહીં થાય

આ બાબત પુત્રવધૂને તેની ક્ષમતાઓ પર શંકા કરવા દબાણ કરે છે અને તેનો આત્મવિશ્વાસ ઘટાડે છે. તેની શક્તિઓને ઓળખો અને સકારાત્મક વલણ અપનાવો. તમે તેનાથી ડબલ ઉંમરના છો એ ન ભૂલો. તમે તમારી લાઈફમાં જે તે ઉંમરે જે કામ કર્યું તે આજની જનરેશન ન પણ કરે.

10. તારા માતાપિતા પાસેથી અમને કોઈ અપેક્ષા નથી

આવું કહેવાથી પુત્રવધૂને તેના માતા-પિતાના અનાદરની લાગણી થશે અને તેનાથી સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે. પુત્રવધૂના માતા-પિતાનું પણ સન્માન કરવું જોઈએ, કારણ કે તેઓ પણ તેના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તમારા માટે તમારું સંતાન મહત્ત્વનું છે, તે રીતે તેના માતા પિતા માટે તે પણ તેમનું વહાલસોયું સંતાન છે.

આ પણ વાંચોઃ શું તમારી રિલેશનશિપમાં આ બાબતોને લીધે ઝઘડા થાય છે? ધ્યાન રાખો નહિ તો નુકસાન થશે

Back to top button