અમીરગઢ પાસેની બનાસ નદીમાંથી ત્રણ દિવસથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળ્યો
પાલનપુર, 30 ઓગસ્ટ 2024, ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી ધોધમાર વરસાદ વરસતાં નદી નાળાં છલકાયા છે અને જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ત્યારે આ સ્થિતિમાં અનેક જગ્યાએ ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. બનાસકાંઠામાં અમીરગઢ ગામમાંથી ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ નદીના પટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
પાલનપુરની ફાયર ટીમની મદદથી તપાસ હાથ ધરવામાં આવી
અમીરગઢમાં રહેતા લાલા ભાઈ ઠાકોર ત્રણ દિવસ અગાઉ ગુમ થયા હતા. આ યુવક બનાસ નદીમાં ડૂબ્યો હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરી હતી. જેના પગલે તંત્ર દ્વારા ગઈ રાત્રે શોધખોળ હાથ ધરી હતી. જોકે રાત્રે અંધારું થઈ જતાં પુનઃ શુક્રવારના સવારે અમીરગઢ મામલતદાર, પોલીસ તેમજ સ્થાનિક લોકો અને પાલનપુરની ફાયર ટીમની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાસ નદીના જળ સ્તરમાં વધારો થયો
ત્યારે નદીના પાણીમાંથી આખરે લાલા ભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.અમીરગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.તંત્ર દ્વારા બનાસ નદી તેમજ અન્ય વહેતા પાણી ના પ્રવાહમાં ના ઉતરવા અપીલ કરાઇ છે.અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશ કરતી લોકમાતા બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીનો અવરિત આવરો ચાલુ છે. પરંતુ મંગળવારે અંબાજી તેમજ આબુરોડ વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોવાથી અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના જળ સ્તરમાં વધારો થયો છે.
આ પણ વાંચોઃરાજ્યના ચાર ઝોનમાં 100 ટકાથી વધુ પણ ઉત્તર ગુજરાતમાં માત્ર 87 ટકા જ વરસાદ થયો