ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે હારેલા ઉમેદવારો મેળવી શકશે EVM ડેટા અને VVPAT સ્લિપ મેચ, ચૂંટણીપંચનો નિર્ણય

  • ચૂંટણીપંચે લોકતાંત્રિક પ્રક્રિયામાં પારદર્શિતા માટે વધુ એક જોગવાઈ કરી

નવી દિલ્હી, 17 જુલાઈ: ચૂંટણીપંચે લોકતાંત્રિક પ્રક્રિયામાં પારદર્શિતા માટે વધુ એક જોગવાઈ કરી છે. આ જોગવાઈ અનુસાર, મતદાનની અનિયમિતતાની શંકા ધરાવતા ઉમેદવારો (મતદાન અને મતગણતરીથી અસંતુષ્ટ) પરીક્ષણ માટે કોઈપણ મતદાન મથકમાંથી કોઈપણ EVM પસંદ કરી શકે છે. જેનો ડેટા અને VVPAT સ્લિપ મેચ કરી શકાશે. લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતથી અત્યાર સુધીમાં ચૂંટણીપંચને 8 ઉમેદવારો તરફથી ફરી મેચ કરવા માટે ફરિયાદો અને અરજીઓ મળી છે. જેમાં મશીન, ડેટા, કાઉન્ટિંગ, મેચિંગ અને માઈક્રોચિપ સાથે ગેરરીતિ કે ચેડાં થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ચૂંટણીપંચે જાહેરાત કરી

ચૂંટણીપંચે SOP જારી કરીને ચૂંટણીમાં બીજા અને ત્રીજા નંબરે આવનાર ઉમેદવારોને આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. નિયમો મુજબ, કોઈપણ મતવિસ્તારમાં EVM VVPAT સેટની કુલ સંખ્યાના પાંચ ટકા મેચિંગ રેન્ડમ રીતે કરવામાં આવે છે. આ નંબરની અંદર, ઉમેદવારો યોગ્ય ફી ચૂકવીને, તેમની ચોક્કસ પસંદગીના બૂથ અને EVMનો સીરીયલ નંબર ટાંકીને પરીક્ષણ માટે વિનંતી કરી શકે છે.

રકમ અગાઉથી જમા કરાવવાની રહેશે

પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણી દરમિયાન EVM અને VVPATની મેમરી વેરિફિકેશન માટે પ્રતિ મશીન 40 હજાર રૂપિયા અને તેના પર 18 ટકા GST એડવાન્સ જમા કરાવવાના રહેશે. પંચના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તમામની સામે ડેટાની ચકાસણી કરે છે. જો ફરિયાદ સાચી જણાશે એટલે કે EVM ડેટા અને સ્લિપ વચ્ચે અનિયમિતતા જોવા મળશે, તો કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર ફી ફરિયાદીને પરત કરવામાં આવશે. જો ફરિયાદ માન્ય રાખવામાં નહીં આવે તો ફી જપ્ત કરવામાં આવશે.

100% મેચિંગ કરવામાં આવશે નહીં

26 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચના નિર્ણય અનુસાર, મત ગણતરીના સાત દિવસમાં વેરિફિકેશન માટે અરજી દાખલ કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલે પોતાના મહત્ત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે, EVM મશીન દ્વારા જ મતદાન શક્ય છે. EVM-VVPATનું 100% મેચિંગ કરવામાં આવશે નહીં. EVM ડેટા એટલે કે મેમરી અને VVPAT સ્લિપને 45 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. આ સ્લિપ ઉમેદવારો અથવા તેમના એજન્ટોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે.

ફરિયાદ સાચી જણાશે તો ખર્ચ પરત કરવામાં આવશે

કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ચૂંટણી બાદ સિમ્બોલ લોડિંગ યુનિટને પણ સીલ કરીને સુરક્ષિત કરવામાં આવે. તે પણ નિર્દેશિત કરવામાં આવ્યું છે કે, ઉમેદવારો પાસે પરિણામોની ઘોષણા પછી તકનીકી ટીમ દ્વારા EVMના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે, જે ચૂંટણીના પરિણામો આવ્યાના સાત દિવસની અંદર કરી શકાય છે. આ નિર્ણય આપતા જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, VVPAT વેરિફિકેશનનો ખર્ચ ઉમેદવારોએ પોતે ઉઠાવવો પડશે. જો કોઈ પણ સંજોગોમાં EVM સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું જણાશે તો ખર્ચ પરત કરવામાં આવશે. આ દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું હતું કે, સિસ્ટમ પર આંધળો અવિશ્વાસ કરવો માત્ર શંકા પેદા કરે છે. લોકશાહીનો જ અર્થ છે વિશ્વાસ અને સંવાદિતા જાળવવી.

આ પણ જૂઓ: ઓનલાઈન ફ્રોડની નવી રીત: OTP અને ફોન કોલ વિના પણ બેંક ખાતું થશે ખાલી, ભરો આ પગલાં  

Back to top button