અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં 4,00,000 જેટલા વિદ્યાર્થી સદસ્યો બનાવશે ABVP, આવનારા 1 મહિના સુધી સ્કૂલ અને કોલેજોમાં ચાલશે સદસ્યતા અભિયાન

અમદાવાદ 16 જુલાઈ 2024 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થીઓના હિત અને ન્યાય માટેના આદોલનોની સાથે સાથે, વિધાર્થીઓની વચ્ચે વિવિધ રચનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ કરતી હોય છે. જેનાથી વિધાર્થીઓ વચ્ચે જ્ઞાન, ચારિત્ર્ય અને એકતા જેવા ગુણો થકી સર્વાંગી વિકાસ થઈ શકે. આગામી શૈક્ષણિક વર્ષ દરમ્યાન વિધાર્થી પરિષદ ગુજરાતના તમામ વિધાર્થીઓ સુધી પહોચવા માટે નગર કારોબારી, કેમ્પસ કારોબારી અને સદસ્યતાના માધ્યમથી વિધાર્થીઓ સુધી રાષ્ટ્રીયતાના‌ ભાવને ઉજાગર કરવા માટે હંમેશાની જેમ તત્પર અને યોજનાબદ્ધ છે.

700થી વધુ કોલેજોમાં કારોબારીઓની ઘોષણા થશે

આવનાર સમયમા સમગ્ર ગુજરાતમા અ.ભા.વિ.પ સદસ્યતા અભિયાન લઈને વિધાર્થીઓની વચ્ચે જશે. અ.ભા.વિ.પ ગુજરાત ૪ લાખ સદસ્યતાનો લક્ષ્યાંક લઈને વિધાર્થીઓની સદસ્યતા કરશે. આ સદસ્યતા અભિયાનના પ્રથમ ફેઝમા તારીખ 19 થી 29 જુલાઈ સુધી સ્કૂલના ૧૧ અને ૧૨મા ધોરણનાં વિધાર્થીઓની વચ્ચે જઈને સદસ્યતા અભિયાન ચલાવશે. ત્યાર બાદ બીજા ફેઝ એટલે કે તારીખ 1 થી 12 ઓગસ્ટ વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોમા જઈને સદસ્યતા કરશે. આ સદસ્યતા અભિયાન હેઠળ વિધાર્થીઓ વચ્ચે છાત્ર શક્તિ એ રાષ્ટ્ર શક્તિના વિચાર સાથે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અને ગતિવિધિઓની માહિતી આપવામાં આવશે. સાથે જ આગામી સમયમા વિધાર્થી પરિષદ ગુજરાતના ૭૦૦ થી વધુ કોલેજ કેમ્પસોમા કારોબારીઓની ઘોષણા કરશે. અને પુરા ગુજરાતમાં ૨૦૦ જેટલી નગર કારોબારીની ધોષણા અ.ભા.વિ.પ પ્રદેશ ભર‌માં કરવા જઈ રહી છે.

સમગ્ર દેશમાં સીટી ઓલમ્પિક્સનું થશે આયોજન

ABVP પ્રદેશ પ્રમુખના જણાવ્યા મુજબ ABVP વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે આપણા હુતાત્માઓ અને જેમના થકી ભારતનો ભવ્ય ઇતિહાસ છે તેવા ઇતિહાસના મહાનવ્યક્તિત્વોને પણ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસ્તુત રાખવાનો પ્રયાસ કરતુ આવ્યું છે. તે ઉદેશની સાથે સમગ્ર ભારતમાં પુણ્યશ્લોકા અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦માં જયંતિ વર્ષ નિમિતે કેમ્પસ સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ વિદ્યાર્થી પરિષદ કેમ્પસ સુધી અહિલ્યાબાઇના વિચારો લઇ જવાનો પ્રયાસ કરશે. આજના સમયમાં રમત-ગમતનું ખુબ મહત્વ છે, ભારત પાસે રહેલ યુવાધન સક્રિય રહે તે પણ ખુબ આવશ્યક છે ત્યારે અભાવિપના આયામ ‘ખેલો ભારત’ અંતર્ગત સમગ્ર દેશમાં ‘સીટી ઓલમ્પિક્સ’ નું પણ આયોજન આવનારા વર્ષ દરમિયાન થવા જઈ રહ્યું છે.

રાષ્ટ્ર પુનઃનિર્માણના વિચાર સાથે જોડાવા વિદ્યાર્થીઓ આતુર

અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “ગુજરાતના શૈક્ષણિક જગતમાં અને વિશેષ કરીને વિદ્યાર્થીઓમાં અભાવિપ માટે એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્ર પુનઃનિર્માણના વિચાર સાથે જોડાવા વિદ્યાર્થીઓ આતુર છે. વિદ્યાર્થી પરિષદ ગુજરાતના દરેક કેમ્પસ સુધી, દરેક તાલુકા સુધી ભારત માતાની જયકાર સદસ્યતા અને વિવિધ સંગઠનાત્મક કાર્યો દ્વારા પહોંચાડવા કટિબદ્ધ છે. વિદ્યાર્થી વચ્ચે રહી વર્ષ દરમિયાન તેમના પ્રશ્નોને વાચા આપવાનું કામ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા કરતો આવ્યો છે જે પરિશ્રમના ફળ સ્વરૂપે ગુજરાતમાં અભાવિપ ખુબ જ સહેલાઇથી 4,00,000 સદસ્યતાનો લક્ષ્યાંક સર કરશે તેવો સૌ કાર્યકર્તાઓને વિશ્વાશ છે”

આ પણ વાંચો : અમદાવાદઃ ગીર સોમનાથનાં RTI એક્ટિવિસ્ટ મહેશ મકવાણાને દાઝ રાખી લૂંટનો કેસ દાખલ કર્યો જાણો શું કહ્યું જીગ્નેશ મેવાણીએ?

Back to top button