ટ્રેન્ડિંગનેશનલ

તલાક વગર કરી લીધા બીજા લગ્ન, હવે પતિ-પત્નીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી અનોખી સજા

  • પહેલા પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું લેવાના મામલામાં સુપ્રીમ કોર્ટે દંપતીને 6-6 મહિનાની જેલની સજા ફટકારી

નવી દિલ્હી, 16 જુલાઇ: તલાક લીધા વગર બીજા લગ્ન કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે દંપતીને 6-6 મહિનાની જેલની સજા ફટકારી છે. બીજી વાર લગ્ન કર્યા પછી પણ પહેલા પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું લેવાના મામલામાં સુપ્રીમ કોર્ટે દંપતી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. જોકે, આ કેસને અસાધારણ ગણાવીને આરોપીઓને વિશેષ છૂટ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દંપતીને એક નાનું બાળક પણ છે, તેથી તેમને અલગ-અલગ સમયે તેમની સજા ભોગવવાની છૂટ છે. કોર્ટે કહ્યું કે, 6 વર્ષના બાળકની સંભાળ પણ જરૂરી છે, તેથી બંને આરોપી એક પછી એક સજા ભોગવી શકશે. એક આરોપીની સજા પૂરી થયા બાદ બીજા આરોપીએ બે સપ્તાહમાં સરેન્ડર કરવું પડશે.

જસ્ટિસ સી.ટી.રવિકુમાર અને સંજય કુમારે કહ્યું કે, પતિએ પહેલા છ મહિનાની સજા ભોગવવી પડશે. આ પછી મહિલાએ બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે. આવી સ્થિતિમાં, માતા-પિતા જેલમાં હોય ત્યારે બાળકને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તેની સાથે તેના માતા-પિતામાંથી એક હાજર રહેશે.

હકીકતમાં, એક મહિલાએ ફરીથી લગ્ન કર્યા હતા, તેમ છતાં તે તેના પહેલા પતિ પાસેથી ભરણપોષણ લેતી હતી. આ પહેલા પતિએ મદ્રાસ હાઈકોર્ટના 2022ના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે આરોપી દંપતીને દોષિત ઠેરવ્યા હતા પરંતુ સજા રાઇઝિંગ ઓફ ધ કોર્ટ સુધી જ સંભળાવી હતી. મતલબ કે, જ્યાં સુધી કોર્ટમાં કેસની સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી જ આરોપીઓને સજા થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સજા કરેલા અપરાધ અનુસાર પૂરતી નથી.

બેંચે કહ્યું કે, લગ્નજીવન જેવા મામલા ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે અને સમાજ પર તેની નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં જો હળવી સજા આપવામાં આવશે તો તેનાથી સમાજમાં પણ ખોટો સંદેશ જશે. અપરાધ મુજબ, સજાને અપૂરતી ગણાવતા ખંડપીઠે કહ્યું કે, સંસ્કારી સમાજ માટે ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. કોર્ટે કહ્યું કે, પીડિતાના અધિકારોને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. IPCની કલમ 494 હેઠળ વધુમાં વધુ સાત વર્ષની સજા થઈ શકે છે. હવે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 82 હેઠળ સજાની જોગવાઈને ધ્યાનમાં લેવામાં આવશે.

કોર્ટે કહ્યું કે, બીજા પતિના બાળકના જન્મ સુધી મહિલા પહેલા પતિ પાસેથી ભરણપોષણના પૈસા લેતી હતી. એવા પુરાવા છે કે, બીજી વખત લગ્ન કર્યા પછી પણ મહિલા તેના પહેલા પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું લેતી હતી. તે જ સમયે તે તેના બીજા પતિથી પણ ગર્ભવતી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે, આ કેસમાં આરોપીઓ પર ગેરકાયદેસર દયા દાખવવામાં આવી છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની બંનેને છ-છ મહિના જેલમાં રહેવું પડશે. કોર્ટે કહ્યું કે, બાળકની સંભાળને ધ્યાનમાં રાખીને બંને અલગ-અલગ સમયે એક પછી એક સજા ભોગવશે. જો કે, આ નિર્ણય ખાસ સંજોગોમાં આપવામાં આવ્યો છે જે ભવિષ્યમાં કોઈ મિસાલ નહીં હોય.

આ પણ જૂઓ: કેન્દ્ર-રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિઓની યાદી સાથે ચેડા કરવાનો કોઈ અધિકાર નથી, SCનું કડક વલણ

Back to top button