ટોપ ન્યૂઝનેશનલ

કુવૈતમાં મૃત્યુ પામનાર 45 ભારતીયોના મૃતદેહો વતન લાવવા કવાયત

Text To Speech
  • વાયુસેનાનું વિમાન મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર
  • ઘટના બાદ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પહોંચ્યા કુવૈત

નવી દિલ્હી, 13 જૂન : કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં 7 માળની ઇમારતમાં બુધવારે સવારે આગ ફાટી નીકળી હતી, જ્યાં 196 સ્થળાંતર કામદારો રહેતા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 45 ભારતીયોના મોત થયા છે. કુવૈતી અધિકારીઓએ જણાવ્યું કે 45 ભારતીયોના મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ અકસ્માત બાદ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ આગમાં ઘાયલ ભારતીયોને મદદ કરવા અને મૃતદેહોને ભારત લાવવા માટે કુવૈત પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાનું એક વિમાન ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર છે.

કુવૈત પહોંચ્યા બાદ કીર્તિ વર્ધન સિંહ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળ્યા હતા. કુવૈતમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે અલ-યાહ્યાએ તબીબી સહાય, શક્ય તેટલી વહેલી તકે મૃતદેહોને પરત લાવવા અને ઘટનાની તપાસ સહિત સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. દૂતાવાસે કહ્યું કે વિદેશ મંત્રી યાહ્યાએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે કહ્યું કે વિદેશ રાજ્ય મંત્રીએ કુવૈતના તમામ સંબંધિત અધિકારીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા સહયોગની પ્રશંસા કરી હતી. આ સાથે કીર્તિ વર્ધન સિંહે મુબારક અલ કબીર હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં સાત ઘાયલ ભારતીયો દાખલ છે. કીર્તિ વર્ધન સિંહે તેમને ભારત સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

જીવ ગુમાવનારા મોટાભાગના ભારતીયો કેરળના

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ-સબાહે કહ્યું કે અધિકારીઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે, જેમાંથી 45 ભારતીય અને ત્રણ ફિલિપિનો છે. તેમણે કહ્યું કે બાકીના એક મૃતદેહને ઓળખવાના પ્રયાસો હજુ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટાભાગના ભારતીય પીડિતો કેરળના છે.

Back to top button