કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો, હજારોની જનમેદનીનું અભિવાદન જીલ્યું

Text To Speech
  • દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધીના માર્ગ પર ઠેર-ઠેર ગુજરાતના પનોતા પુત્રના વધામણા કરાયા
  • કલાકારોએ સમગ્ર રુટ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા

જામનગર, 24 ફેબ્રુઆરી : વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો. દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પીએમની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા.

રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા પીએમનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પીએમએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ફેબ્રુઆરીના રોજ જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના અનેક વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરનાર છે. જે કાર્યક્રમ માટે પધારેલ વડાપ્રધાનએ આજ રોજ જામનગર ખાતે રોડ-શો યોજી સર્કિટ હાઉસ તરફ પ્રસ્થાન કર્યું હતું.

Back to top button