ઉત્તર ગુજરાતગુજરાત

ગુજરાતના ખેડૂતો માટે સરકારે જીઓમેમ્બ્રેન યોજનાનો ડીસાના શેરપુરા ગામથી કર્યો પ્રારંભ

Text To Speech

પાલનપુર 19 ફેબ્રુઆરી 2024 :ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણી માટે ખેત તલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓમેમ્બ્રેન યોજનાનો આજથી પ્રારંભ કર્યો છે. ડીસા તાલુકાના શેરપુરા ગામેથી ગુજરાત સરકારના મંત્રીએ આ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યના કુલ 10 તાલુકાના ખેડૂતો માટે રૂ. 3,800 લાખ રૂપિયાનો ફાયદો થશે.

બનાસકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઓછો થઈ રહ્યો છે અને તેના કારણે પાણીના તળ પણ દિવસને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટે નામના નવતર આયોજન હાથ ધરી ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં ખેત તલાવડી બનાવી અને તે પાણીથી ખેતીની શરૂઆત કરી હતી જેના થકી ખેડૂતને પાણીના બચતની સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થયો હતો.

ત્યારબાદ અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા મેળવતા આજે બનાસકાંઠા જિલ્લામાં 200 થી પણ વધુ ખેત તલાવડી બની છે. જેમાં કરોડો લિટર પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી ખેડૂતો તેમના જ ખેતરમાં સિંચાઈ કરી શકશે. ખેત તલાવડી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે જે બાબત ધ્યાને આવતા જ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ અભિયાનને વેગ આપવા માટે સરકારમાં રજૂઆત કરી અને ત્યારબાદ સરકારે ખેત તલાવડી બનાવનાર ખેડૂતને જીઓમેમ્બ્રેન આપવાની યોજના બનાવી.જે અંતર્ગત આ વર્ષે સરકારે કુલ રૂ. 3800 લાખ રૂપિયાની ફાળવણી કરી ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને મદદ કરશે. જેના માટે આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે રાજ્ય વ્યાપી આ યોજનાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા,સાંસદ પરબત પટેલ ધારાસભ્ય પ્રવીણ માળી,ધારાસભ્ય માવજી દેસાઈ અને રાજ્ય કક્ષાના પૂર્વ સાંસદ દિનેશ અનવડિયાના હસ્તે આ યોજનાનો પ્રારંભ કર્યો છે.

પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે સરકારની આ યોજનાથી અન્ય ખેડૂતો પણ ખેત તલાવડીઓ બનાવવા માટે પ્રેરાશે અને ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણીનો સંગ્રહ કરી ખેડૂતો પાણી માટે પણ આત્મ નિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે.

આ પણ વાંચો : સુરતમાં મોડેલ તરીકે કામ કરતી યુવતીએ ગળાફાંસો ખાધો, પ્રેમ પ્રકરણની આશંકા

Back to top button