હિંદ મહાસાગરમાં ભારતની મોટી રાજદ્વારી જીત, ઓમાનમાં મળ્યું મોટું બંદર


ઓમાન, 08 ફેબ્રુઆરી : હિંદ મહાસાગરમાં ચીનના જાસૂસી જહાજો ફરતા જોવા મળે છે. આ જાસૂસી જહાજોની હાજરી સામે ભારતે ઘણી વાર સખત વાંધો વ્યક્ત કર્યો છે. શ્રીલંકાના હંબનટોટા બાદ માલદીવમાં જાસૂસી જહાજોની હાજરીના અહેવાલો વચ્ચે ભારતને હિંદ મહાસાગરમાં મોટી રાજદ્વારી સફળતા મળી છે. ભારતને ઓમાનમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ પોર્ટ પર સીધો પ્રવેશ મળ્યો છે. આનાથી પર્સિયન ગલ્ફ દ્વારા વેપારને મોટા પ્રમાણમાં સરળ બનાવી શકાશે તેવી અપેક્ષા છે.
ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકની નવી દિલ્હીની મુલાકાતના બે મહિનાથી પણ ઓછા સમયગાળામાં ડુકમ પોર્ટની કમાન ભારતને સોંપવામાં આવી છે. ડુકમ પોર્ટ વ્યૂહાત્મક રીતે ઘણો મહત્ત્વપૂર્ણ છે. આનાથી પશ્ચિમ અને દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની ભૂમિકાને વધારવામાં મદદ મળશે. આ પગલું લાલ સમુદ્ર અને પશ્ચિમ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાલી રહેલા સંકટ વચ્ચે ભારતીય નૌકાદળની ભૂમિકામાં પણ વધારો કરી શકે છે.
ભારત માટે આ બંદર કેટલું મહત્ત્વનું?
ડુકમ પોર્ટ મુંબઈથી પશ્ચિમ તરફ એક સીધી દિશામાં આવેલું છે. જેથી ભારત ઓમાનના ડુકમ પોર્ટ દ્વારા જમીન માર્ગે સાઉદી અરેબિયા અને તેની આગળ પણ સરળતાથી માલસામાનનું પરિવહન કરી શકશે.. તેમજ, એડનની ખાડી અને લાલ સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાંથી હુથી વિદ્રોહીઓના હુમલાઓનો પણ સરળતાથી સામનો કરી શકાય.
ભારતને કેટલો ફાયદો થશે?
ઓમાનનું ડુકમ બંદર દરિયાઈ સહયોગના ક્ષેત્રમાં ભારત માટે લોજિસ્ટિક બેઝ પૂરું પાડશે. તે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતમાં પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે ભારતની ભૂમિકાને પણ વધારશે. આ બંદર ભારતીય અને આફ્રિકન બજારોને સપ્લાય કરતી શિપિંગ લાઇન માટે સરળ રીતે ઉપલબદ્ધ બનશે. પોર્ટની ઍક્સેસ ભારત માટે વ્યૂહાત્મક ફાયદામાં વધારો કરશે કારણ કે તે ગલ્ફ, હિંદ મહાસાગર અને અરબી સમુદ્રને બાયપાસ કરી શકાશે.
આ પણ વાંચો : ભારત અને રશિયા દ્વારા બનાવવામાં આવી રહેલી બ્રહ્મોસ-NG મિસાઇલ કેટલી શક્તિશાળી હશે