ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ પાર્ટીનો આજે 139મો સ્થાપના દિવસ, RSSના ગઢમાં યોજશે વિશાળ રેલી

નવી દિલ્હી, 28 ડિસેમ્બર: કોંગ્રેસ પાર્ટી આજે તેના 139મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. નવી દિલ્હીમાં ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના હેડ ક્વાર્ટરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના કાર્યકરો હાજર રહ્યાં હતાં અને  હેડક્વાર્ટર ખાતે ધ્વજ લહેરાવ્યો હતો. આ ઉપરાંત RSSના ગઢ ગણાતા નાગપુરમાં કોંગ્રેસ સભા યોજીને સ્થાપના દિવસની ઉજવણી કરશે. આ પ્રસંગે પૂર્વ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહેશે. કોંગ્રેસ નાગપુરમાં ‘હૈં તૈયાર હમ’ નામની વિશાળ રેલી યોજશે. પાર્ટીએ આ કાર્યક્રમ માટે ‘હૈં તૈયાર હમ’ સ્લોગન પણ તૈયાર કર્યું છે, જે પાર્ટીના નેતાઓનું મનોબળ વધારશે.

કોંગ્રેસ અધ્યક્ષે ધ્વજ લહેરાવ્યો

કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ AICC હેડક્વાર્ટર ખાતે ધ્વજ લહેરાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ રાષ્ટ્ર પ્રત્યેની આપણી વફાદારી અને સમર્પણનો પ્રતીકાત્મક દિવસ છે. સત્ય, અહિંસા, પરસ્પર આદર અને ભાઈચારાની આ પરંપરા કોંગ્રેસનું બીજું નામ છે.

રાહુલ ગાંધી સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી

કોંગ્રેસના 139મા સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના સ્થાપના દિવસ પર તમામ નેતાઓ, અધિકારીઓ, સમર્થકો અને અને કાર્યકરોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે X પર પોસ્ટ લખતાં કહ્યું કે, પ્રેમ, ભાઈચારો, સન્માન અને સમાનતા તેના આધારસ્તંભ અને દેશભક્તિ તેની છત છે. મને ગર્વ છે કે હું આવા સંગઠનનો એક ભાગ છું. હું ગૌરવ અનુભવું છું કે, હું કોંગ્રેસનો ભાગ છું.

બદલાવનો સંદેશ આપવાનો હેતુઃ નાના પટોલે

મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ કહ્યું છે કે પાર્ટીનો ઉદ્દેશ્ય પરિવર્તનનો સંદેશ આપવાનો છે, જેથી ભાજપને કેન્દ્રમાંથી હટાવી શકાય. દેશના લોકો માટે આ એક ઐતિહાસિક અવસર બનવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પણ દેશને મુસીબતોનો સામનો કરવો પડ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આગળ આવી છે અને દેશમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. કોંગ્રેસના સ્થાપના દિવસે નાગપુરમાં ભાજપની અત્યાચારી અને અહંકારી સરકારને તોડી પાડવાનો સંકલ્પ લઈને પરિવર્તનનો સંદેશ આપવામાં આવશે.

RSSના ગઢમાં વિશાળ રેલી યોજાવાની છે

નોંધનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણી આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની આ રેલી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નાગપુર કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું છે. જો કે, નાગપુરને RSSનો ગઢ માનવામાં આવે છે. પાર્ટીના નેતાઓના કહ્યા પ્રમાણે, ‘હૈં તૈયાર હમ’ મહારેલીમાં લાખો લોકો અને કોંગ્રેસના કાર્યકરો ભાગ લેવાના છે.

કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી માટે રણશિંગું ફૂંકશે

નાગપુરમાં રેલી પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પાર્ટીના મહાસચિવો અને તમામ રાજ્ય પ્રભારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર ઉત્તર ભારતના રાજ્યોમાં જીત મેળવવાનો છે, જેના પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પાર્ટી યુપી, બિહાર જેવા રાજ્યોની પ્રાદેશિક પાર્ટીઓ સાથે બેઠકોની વહેંચણીને લઈને વાતચીત કરી રહી છે. નાગપુરના કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે કહ્યું કે, પાર્ટી આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે રણશિંગું ફૂંકશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર

Back to top button